જામકંડોરણામાં 156 નવદંપતિના યોજાયા ‘શાહી સમૂહલગ્ન’, વિન્ટેજ કારમાં નીકળ્યો શાહી વરઘોડો
રાજકોટ: જયેશ રાદડિયા દ્વારા જામકંડોરણામાં શાહી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજીત છઠ્ઠા શાહી સમૂહ લગ્નમાં 156 નવદંપતીને આશિર્વાદ અને શુભકામના પાઠવવા મુખ્યમંત્રી સહિત અનેક સંતો-મહંતો, સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિન્ટેજ કાર અને બગીમાં 156 નવદંપતિનો વરઘોડો નિકળ્યો હતો. મહત્વની વાત એ છે કે, છેલ્લા ઘણા વર્ષોથી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની જામકંડોરણા તાલુકામાં શાહી સમૂહલગ્ન કરવાની ઈચ્છા હતી જે તેમના પુત્ર જયેશ રાદડિયાએ પુરી કરી હતી.
આ શાહી સમૂહલગ્નમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડ્યાં હતાં. જે આ સમૂહ લગ્નનું નામ શાહી સમૂહ લગ્ન રાખવામાં આવ્યું હતું તેવી જ રીતે શાહી ઠાઠથી વિન્ટેજ કાર અને બગીઓમાં 156 નવદંપતિઓનો વરઘોડા પણ નીકળ્યો હતો. 4 જેટલા ડીજે પણ રાખવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નની તસવીરો વાયરલ થઈ હતી.
રાદડિયા પરિવાર દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5 હજાર જેટલા સ્વયંસેવકો કામ માટે જોડાયા હતાં. મહત્વની વાત એ છે કે, સમૂહલગ્ન હોવા છતાં પણ વર અને કન્યા પક્ષને ગમે તેટલા મહેમાન સમૂહ લગ્ન લાવવાની છૂટ આપી હતી.
આ શાહી સમૂહ લગ્નમાં વર-કન્યા સહિત 50 હજાર જેટલા મહેમાનોની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમૂહલગ્ન બાદ રાતે યોજાયેલા ડાયરાનાં કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
મંત્રી જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્ટેજ પર જયેશ રાદડિયા ઢોલ પર બેસીને ડાન્સ કરતાં પણ જોવા મળ્યાં હતાં. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ શાહી સમૂહલગ્નમાં ખાસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. સમૂહલગ્નમાં મુખ્યમંત્રી કહ્યું હતું કે, જયેશભાઈ રાદડિયા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાના સમાજ સેવાના માર્ગે સમૂહ લગ્ન સહિતનાં સામાજિક સેવાના કાર્યો કરી રહ્યા છે.
બીજી તરફ સમૂહ લગ્નના દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓનું મુખ્યમંત્રીનાં હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ શાહી સમૂહ લગ્નમાં વરઘોડો કાઢવામાં આવ્યો તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલયને રોશનીથી શણગારવામાં પણ આવી હતી જેનો રાત્રે અદભુત નજારો લાગતો હતો.