પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેની દેશ અને વિદેશના લાખો હરિભક્તો મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે કચ્છની કોયલ તરીકે નામના મેળવનાર ગીતા રબારીએ પણ પોતાના પરિવાર સાથે શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે શતાબ્દી મહોત્સવને લઈને ખાસ વાતચીત કરી હતી.
ગીતા રબારીએ જણાવ્યું કે, ‘શતાબ્દી મહોત્સવનું આ સ્વામીનારાયણ નગરનો અદ્ભૂત નજારો છે. અહીં આવીને ખરેખર શાંતિની અનુભૂતિ થઈ રહી છે. આપણા ભારત વર્ષના શિરોમણી સંત કે જેમના નામ પર આ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. આવો ભવ્ય ઉત્સવ મેં મારી 25 વર્ષની ઉંમરમાં ક્યારેય નથી જોયો. કદાચ ભવિષ્યમાં પણ આવો ઉત્સવ જોવા નહીં મળે.’
ગીતા રબારીએ કહ્યું કે, ‘આ નજારો ખૂબ જ ભક્તિ ભાવથી ભરેલો છે. કેમ કે, અમે તો કલાકાર છીએ અને સ્વામીશ્રી ભજનોને ખૂબ જ માનતા હતા એટલે તેમણે ભજનને ખૂબ જ માણ્યું પણ છે. એનાથી પણ વિશેષ વાત એ છે કે પ્રમુખસ્વામી પોતાના માટે નહીં પરંતુ હંમેશા બીજા માટે જ જીવ્યા હતા. ગુજરાત હોય કે પછી ભારત જ્યારે જ્યારે કોઈ સમસ્યાઓ આવી છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ અને BAPS સંસ્થા લોકોની સેવા માટે હંમેશા હાજર રહ્યાં છે.’
ગીતા રબારીએ વધુમાં જણાવ્યું કે, ‘આ નગરમાં જ્યારે પ્રવેશ લઈએ ત્યારે સ્વામીજીની જે મુર્તિ છે ત્યાં જો એકાદ મિનિટ પણ ઉભા રહીએ તો શાંતિની અનુભૂતિ થઈ જાય છે. આ નગરમાં નાના બાળકો માટે પણ જે આકર્ષણનું કેન્દ્ર બનેલી બાળનગરી છે, ગ્લો ગાર્ડન પણ સૌ કોઈને આકર્ષિત કરી રહ્યો છે. આ તમામ પાછળ એક સંદેશ અપાઈ રહ્યો છે. એ ખૂબ જ સારી બાબત છે. જેથી લોકો સરળતાથી સમજી પણ શકે છે.’
ગીતા રબારીએ જણાવ્યું કે, ‘પ્રમુખસ્વામી મહારાજના જીવનો જે ધ્યેય હતો કે બીજા માટે જીવવું તો ક્યાંય ને ક્યાંક માનવ જીવન એવું છે કે એ લોકો પોતાના માટે કરતાં હોય છે. પરંતુ આપણે બધાએ પ્રમુખસ્વામી મહારાજની આ વાતને જીવનમાં ઉતારવી જોઈએ કે બધી જ વસ્તુ આપણે આપણાં માટે નહીં પરંતુ બીજા માટે પણ કરવી જોઈએ.’