મેંગલુરુઃ ભારતના ખતરનાક સાઇનાઇડ સીરિયલ કિલરના નામથી આળખાતો દોષિત મોહન કુમારને કર્ણાટકની એક કોર્ટે સોમવારે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. વાસ્તવમાં વર્ષ 2016માં આરોપીને કેરલની એક 23 વર્ષીય યુવતીની હત્યા કરી હતી જેના પર કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ સજા જિલ્લા અને સત્ર ન્યાયાલયના જસ્ટિસ સઇદુન્નનિસાએ સંભળાવી હતી. તે સિવાય આરોપી પર કોર્ટે 25000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જજે કહ્યું કે, આ સજા ત્યારે શરૂ થશે જ્યારે તે અન્ય મામલામાં કારાવાસની સજા કાપી ચૂક્યો હશે.
જાણકારી અનુસાર, સાઇનાઇડ સીરિયલ કિલર મોહનનો જન્મ 1963માં કેરલમાં થયો હતો. તે વ્યવસાયે એક સ્કૂલ ટિચર હતો. આરોપી સીધી સાદી મહિલાઓને પ્રેમની જાળમાં ફસાવતો હતો. લગ્ન બાદ તેની સાથે સુહાગરાત મનાવતો અને બીજા દિવસે ગર્ભનિરોધક ગોળી આપવાના બહાને સાઇનાઇડ ખવડાવી મોતને ઘાટ ઉતારી દેતો હતો.
આ સીરિયલ કિલરે 2005થી લઇને 2009 સુધીમાં લગભગ 20 મહિલાઓની હત્યા કરી હતી. જેમાં તમામ યુવતીઓની ઉંમર 20થી30 વર્ષની હતી. વર્ષ 2009માં મોહને અનીથા નામની યુવતીને પોતાના પ્રેમમાં ફસાવી હતી. એક દિવસ અચાનક યુવતી ગુમ થઇ ગઇ. જ્યારે તે મળી રહી નહોતી તો ગામના લોકોએ પોલીસ સ્ટેશન જઇને હોબાળો મચાવ્યો હતો.
બાદમાં પોલીસે અનીથાને નંબર ટ્રેસ કર્યો અને જાણવા મળ્યું કે, તેને કોઇ યુવક ચલાવી રહ્યો હતો. પૂછપરછમાં યુવકે કહ્યુ કે, આ મોબાઇલ તેના કાકા મોહને આપ્યો છે. બાદમાં પોલીસ આરોપી સુધી પહોંચી હતી અને તેની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે જે ખુલાસાઓ કર્યા તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આરોપીએ કહ્યું હતું કે, તે એવી યુવતીઓને શિકાર બનાવતો હતો તેના લગ્ન તૂટી ગયા હોય અથવા તો દહેજના કારણે તેના લગ્ન ના થઇ શક્યા હોય. તે યુવતીઓને ખોટા પ્રેમમાં ફસાવી લગ્ન કરતો અને સુહાગરાત મનાવી તેને સાઇનાઇડ ખવડાવી મોતને ઘાટ ઉતારી દેતો હતો.
જોકે, આ અગાઉ આરોપીને પાંચ કેસમાં મોતની સજા આપવામાં આવી છે. જ્યારે ત્રણ કેસમાં તેને ઉંમરકેદની સજા આપવામાં આવી છે. જ્યારે કોર્ટે બે કેસમાં મોતની સજાને ઉંમરકેદમાં ફેરવી દીધી હતી. સૌ પ્રથમ તેને સાત વર્ષ અગાઉ ડિસેમ્બર 2013માં મંગલૌરની ફાસ્ટ ટ્રેક કોર્ટે તેને 20 મહિલાઓની હત્યાનો દોષિત માન્યો હતો અને ફાંસીની સજા આપી હતી. આશ્વર્યની વાત એ છે કે મોહન કુમાર જાતે જ પોતાનો કેસ લડી રહ્યો છે.