ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના પાંચ લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સુસાઇડ કરનારાઓમાં પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકો સામેલ છે. બાળકોમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં પરિવાર આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર પરિવાર બે દિવસથી ઘરની બહાર જ નીકળ્યો ન હતો. બાદમાં શંકા જતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.
બારાબંકીના નગર કોતવાલી વિસ્તારના સફેદાબાદમાં રહેતા વિવેક શુકલા તેમની પત્ની અનામિકા, બે પુત્રી પોયમ (10) ઋતુ (7 વર્ષ) અને પુત્ર બબલ (5) ઘરે જ મૃત હાલતમાં મળી આવ્યા. આસપાસ રહેતા લોકોના જણાવ્યા પ્રમાણે પરિવારજનોને બે દિવસથી કોઇએ જોયા નથી.
પ્રાથમિક તપાસમાં પોલીસને એવું લાગી રહ્યું છે કે બાળકોની હત્યા કર્યા બાદ પિતાએ આત્મહત્યા કરી લીધી છે. તો સમગ્ર ઘટનાની એક સુસાઇડ નોટ પણ મળી છે. સુસાઇડ નોટમાં વિવેક શુકલાએ લખ્યું છે કે આર્થિક તંગીને કારણે તેઓ આ પગલું ભરી રહ્યાં છે. તેઓ પોતાના પરિવારને કોઇ સુખ આપી શક્યા નથી.
પરિવારજનોએ જણાવ્યું કે લગ્ન બાદથી જ વિવેક પોતાના માતા-પિતા સાથે વાતચીત કરતો ન હતો. પહેલા તે મોબાઇલનું કામ કરતો હતો ત્યારબાદ તેના બીજું કંઇક કામ કર્યો પરંતુ સફળ થયો ન હતો. આ દરમિયાન તેના પર દેણું વધી ગયું હતું. જેના કારણે તે ખુબ જ પરેશાન રહેતો હતો.
વિવેકના ભાઇ વિનોદે જણાવ્યું કે તેની વિવેક સાથે વાતચીત થઇ ન હતી. વિવેદના લગ્ન બાદથી જ તેમનો કોઇ સંબંધ રહ્યો ન હતો. વિનોદે જણાવ્યું કે સાંભળવા મળ્યું છે કે વિવેક કોઈ દેણાને લઇને પરેશાન હતો. પરંતુ હકિકત શું છે તે કંઇ કહી શકાય નહીં.
વિવેકના ઘરથી કોઇ બહાર આવ્યું ન હતું પરંતુ ઘરમાં AC બે દિવસથી સતત ચાલી રહ્યું હતું. શુક્રવારની સવારે જ્યારે વિવેકની માતાએ છતથી રૂમમાં જોયું તો વિવેકની ફંદા સાથે લટકેલી લાશ દેખાઇ હતી. ત્યારબાદ તેઓએ પોતાના બીજા પુત્રને જાણકારી આપી ત્યારબાદ સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જિલ્લા હોસ્પિટલ મોકલી દીધા છે જ્યાં તપાસ ચાલી રહી છે.