જૂનાગઢ-દાતાર રોડ પર કડીયાવાડ શાકમાર્કેટ નજીક આવેલ બિલ્ડિંગ ધરાશાયી થયાની દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા અને બે પુત્રોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. 4 વ્યક્તિના પરિવારમાં ફક્ત એક મહિલા જે નજીકની શાક માર્કેટ હોય શાક લેવા ગયેલ હોવાથી બચી ગઈ હતી. જો કે પતિ અને પુત્રોના મોત બાદ લાગી આવતા મહિલાએ એસિડ પી લેતા તેને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કડિયાવાડ શાક માર્કેટ નજીક એક જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી. જેના કાટમાળ હેઠળથી 4 મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક જ પરિવારના 3 સભ્યો હતો. જેમાં સંજયભાઈ ડાભી (33), દક્ષ ડાભી (7), તરુણ ડાભી (13) મોતને ભેટ્યા હતા. જો કે બનાવના સમયે સંજયભાઈના પત્ની મયુરીબેન શાક માર્કેટમાં ગયા હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો.
જો કે પતિ અને પુત્રોના મોતને પગલે મયુરીબેન આઘાતમાં સરી પડ્યા હતા. જેથી તેમને ગઈકાલે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી રજા આપવામાં આવી દીધી હતી. જો કે પરિવારના સભ્યો ગુમાવવાના આઘાતથી લાગી આવતા તેમણે આજે સાંજના સુમારે એસિડ ગટગટાવ્યું હતુ. જેથી તેમને ગંભીર હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્ખે ખસેડવામાં આવ્યા છે.
મૃતકના સગા-સંબંધીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જૂનાગઢમાં બનેલી ઘટનામાં કમિશનર કે ટિપીઓ વિરુદ્ધ આ ગંભીર ઘટનામાં 4 લોકોના જીવ ગયા છતાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. જેથી એ વાતને લીધે આ આપઘાત કર્યું હોવાનું પરિવાર જણાવી રહ્યો છે.