અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો ભયાનક અકસ્માત હજુ ભૂલાયો નથી ત્યાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. શહેરના મણીનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ બેફામ કાર ચલાવી બાંકડા પર કાર ચઢાવી દીધી હતી. જોકે, બાંકડા પર બેસેલા ત્રણ લોકો સમય સૂચકતા વાપરી બાંકડાથી દૂર ખસી જતાં જાનહાનિ ટળી હતી. આ અકસ્માતમાં નશામાં ધૂત નબીરાની કાર ચારથી પાંચ પલટી મારી ગઈ હતી. તો ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલ પણ મળી આવી હતી.
કારે ચારથી પાંચ પલટી મારી દીધી
મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં કાર ચાલકને પહોંચી ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.
ગાડીમાંથી મળી આવી દારૂ અને બિયરની બોટલ
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં કાર ચાલક સહિત ત્રણ નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. જે બાદ ડ્રિંક એન્ડ ડ્રાઇવ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી.
અકસ્માતની ઘટનામાં બચેલા વ્યક્તિએ જણાવ્યું કે, ગઇકાલે રાત્રે મારો નવો જન્મ થયો એવું લાગ્યું છે. જો હું સમયસર બાંકડા પરથી દૂર ન ગયો હોત તો મારું મોત નક્કી હતું.
અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, હવે ડર લાગવા લાગ્યો છે. ત્રણ નબીરાઓએ રાત્રીના સમયે સીયાઝ કારમાં પૂરપાટે આવી અક્સ્માત સર્જ્યો હતો. અકસ્માત કરનાર વાહનચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી છે.