અમદાવાદના એસજી હાઇવે પર ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આરોપી તથ્ય પટેલે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે અકસ્માત સમયે જગુઆર કાર સ્પીડમાં ચલાવતો હતો અને તેણે બ્રેક મારી જ નહોતી. આ મામલે પોલીસે તથ્ય અને તેના મિત્રોના મોબાઈલ એફએસએલમાં મોકલ્યા છે. આ મામલે પોલીસ એ જાણવા માંગે છે કે તેઓ ક્યારે ભેગા થયા હતા. FSLમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. આ અહેવાલ એક ખાનગી વેબસાઈટમાં છવાયો છે જેની અમે પૃષ્ટિ કરતાં નથી.
આરોપી તથ્ય પટેલના લંપટ પિતાનું નવું કારસ્તાન સામે આવ્યું છે. એક ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર, કાર ખરીદીને પ્રજ્ઞેશ પટેલને આપવા પાછળ વ્યાજનું ચક્કર છે. હિમાંશુ વરિયા, પ્રજ્ઞેશ પટેલ વચ્ચે વ્યાજે નાણાની હેરાફેરી થતી હતી. હિમાંશુએ 80 લાખ વ્યાજે લઈ બે કાર આપી હોવાનો અહેવાલમાં જણાવાયું છે.આ ઉપરાંત અમદાવાદ ઈસ્કોન બ્રિજકાંડના આરોપી તથ્યની માતાની પણ પૂછપરછ કરવામાં આવી છે. પ્રજ્ઞેશ પટેલની પત્નીનું પોલીસે નિવેદન નોંધ્યું છે. તથ્યને કારની ઝડપ અંગે માતાએ ચેતવણી આપી હતી. પોલીસે મૃતકોના પરિવારજનોના નિવેદન પણ લીધા છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.
અમદાવાદમાં ભયંકર અકસ્માત
શહેરના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. મોડી રાતે બનેલા આ અકસ્માતના કારણે બ્રિજ ઉપર ચોંકાવનારો બનાવ બન્યો હતો. પરંતુ તેનાથી ગંભીર ઘટના ત્યારબાદ બની હતી જ્યારે લોકો અકસ્માત જોઈ રહ્યા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
આ અંગે ટ્રાફિક વિભાગના એસીપી એસ જે મોદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ બનાવમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ બાદ સ્થાનિક પોલીસ અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા. જ્યારે અકસ્માત કરનાર કારની અંદર ગોતા વિસ્તારમાં કુખ્યાત ઈમેજ ધરાવતા વ્યક્તિનો દીકરો અને બીજા એક યુવક અને યુવતી પણ હતા. જેઓને પણ ઈજા થઈ હતી. આ બનાવ બાદ કાર ચાલકને લોકોએ સબક શીખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને કેટલાક લોકોએ બચાવીને સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બે ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અસારવા ખસેડવામાં આવ્યા છે. જેમના નામ મિજાન શેખ,નારણ ગુર્જર છે. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.
અકસ્માત બાદ રસ્તા પર ચારે તરફ લોહીના ખાબોચિયા ભરાયા હતા. પોલીસ ઇજાગ્રસ્તોની મદદમાં હતી તે દરમિયાન વરસાદ શરૂ થઈ ગયો હતો અને રસ્તા પર લોહી ફેલાઈ રહ્યું હતું જે ખૂબ જ બિહામણું દ્રશ્ય હતું. જે લોકોના આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા તેમાં ઘણા લોકોના ફોન રસ્તા પર પડ્યા હતા તેમના ચપ્પલ કપડા આમ તેમ રસ્તા પર વિખરાયેલા પડે છે આ એક બિહામણું દ્રશ્ય ઇસ્કોન બ્રિજ ઉપર ઉભું થયું હતું. તેનાથી વધુ ગંભીર સ્થિતિ સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળી જ્યાં મૃતકોના સ્વજનો કરૂણ આક્રંદ કરી રહ્યા છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતને નજરે જોનાર અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કુરેશી અલતમસ નામના યુવકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસ્કોન બ્રિજ ઉપર ડમ્પર સાથે થાર ગાડીનો અકસ્માત થયો હતો. જે અકસ્માત જોવા માટે હું અને અમારા મિત્રો ત્યાં ઉભા રહ્યા હતા તે દરમિયાનમાં ખૂબ જ સ્પીડમાં એક ગાડી આવી હતી અને ત્યાં અકસ્માત જોવા ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં કેટલાક લોકોને ઈજા થઈ હતી તો કેટલાક લોકોના ત્યાં મોત થયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે હું એ જ જગ્યા ઉપર જ બેહોશ થઈ ગયો હતો, જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં હતો મને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો હું હોસ્પિટલ આવ્યો ત્યારે ભાનમાં આવ્યો.
સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, એસીપી જી.એસ શ્યાન, ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઇ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતમાં મૃતકના પરિવારજનો સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. હોસ્પિટલમાં સ્વજનોના કલ્પાંતથી હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ ઉભો થયો છે.