મુંબઇઃ આખી દુનિયા હાલમાં કોરોના સંકટ સામે લડી રહી છે. કોરોના પોઝિટીવ કેસની સંખ્યા વિશ્વમાં 16 લાખને પાર થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો પણ 95 હજાર પર પહોંચી ગયો છે. કોરોના વાયરસની હજુ સુધી કોઇ સારવાર મળી નથી. આ કારણે સોશિયલ મીડિયા પર લોકો ઘરેલુ નુસખાઓ બતાવતા રહે છે. જેમાં કોરોનાથી બચવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. લસણનું પાણી પીવાથી લઇને ગાંજા સુધી ઉપાયો બતાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ટિકટોક પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કોરોનાથી બચવા માટે જે ઉપાયો બતાવવામાં આવ્યા છે તેને અપનાવીને 10 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા.
ઘટના આંધ્રપ્રદેશના ચિતૂરની છે જ્યાં અલાપલ્લી ગામમાં બે પરિવારની પાસે મોબાઇલમાં એક ટિકટોક વીડિયો આવ્યો.
આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ધતૂરાનો જ્યૂસ પીવાથી કોરોના વાયરસ મટી જાય છે અને કોઇને કોરોના અસર કરતો નથી.
વીડિયો જોયા બાદ આ પરિવારના 10 લોકોએ ધતૂરાનો જ્યુસ પીધો બાદમાં તમામની હાલત બગડવા લાગી.
તમામ ધતૂરાનો જ્યૂસ પીને બેહોશ થઇ ગયા. બાદમાં તમામને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા
તરત સારવાર મળી જતા તમામનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. એક દિવસ સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ તમામને રજા આપી દેવામાં આવી હતી.
આ ઘટના બાદ ચિતૂર જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારી ડો એમ પેંશલાય્યાએ લોકોને અપીલ કરી હતી કે કોરોનાને લઇને ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ના આપો.
તેમણે કહ્યું કે, કોરોનાની સારવાર કોઇ ઘરેલુ ઉપચારથી થઇ શકે નહીં. તેની કોઇ સારવાર મળી નથી. એવામાં આવા વીડિયો પર ધ્યાન ના આપો.
તેમણે કહ્યું કે, અત્યાર સુધી કોવિડ-19ને લઇને કોઇ દવા શોધાઇ નથી. હાલમા પરીક્ષણ ચાલી રહ્યા છે.
કોરોનાથી બચવા માટે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને સ્વાસ્થ્ય વિભાગ દ્ધારા જાહેર કરાયેલા ઉપાયોનું પાલન કરો. સાથે બચાવ માટે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરો.