પુણે: પુણે પાસે આવેલા પિંપરી ચિંચવાડ જિલ્લામાં 16 ઑગસ્ટથી લાપતા 42 વર્ષિય શખ્સની હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મર્ડર કોઈ બીજાએ નહીં પરંતુ તેના જ જિગરી દોસ્તે કર્યું હતું. મામલો પૈસાની ઉધારી સાથે જોડાયેલો છે. પોલીસને ઘણી તપાસ કરી અને પછી ખબર પડી હતી કે મૃતક તેના મિત્ર સાથે દેખાયો હતો. પોલીસે કડક પૂછપરછ કર્યા બાદ 10 ફીટ ઉંડા ખાડામાંથી મૃતકની લાશ મેળવી હતી. આ હત્યાકાંડની પાછળ જે કારણ સામે આવ્યું છે તે ચોંકાવનારું છે.
જેસીબીથી કચડીને મારી નાખ્યોઃ સંતોષ અંગરખની હત્યાના આરોપમાં તેના 37 વર્ષના મિત્ર ગણેશ પવારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ જેસીબીથી કચડીને સંતોષને મારી નાખ્યો હતો, જે બાદ 10 ફૂટ ઉંડો ખાડો ખોદીને લાશને દફનાવી દીધી હતી.
સીનિયર પોલીસ ઈન્સપેક્ટર વિવેક મુગલીકરે જણાવ્યું કે રહાટણીમાં રહેતા સંતોષ અચાનક ગાયબ થઈ ગયા હતા. જ્યારે તે ઘરે પાછો ન આવ્યો તો તેના પિતાને શંકા ગઈ. તેણે ગણેશની સામે અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે જ્યારે ગણેશની પૂછપરછ કરી તો તેણે ગુનો કબૂલી લીધો. 2 સપ્ટેમ્બરે પોલીસને લાશ મળી આવી હતી. જો કે આરોપીની ધરપકડ ગુરુવારે થઈ. આ મામલે વધુ બે આરોપીની તપાસ ચાલી રહી છે.
લૉકડાઉનના કારણે ઉધારી નહોતો ચૂકવી શકતોઃ સંતોષે બિઝનેસ માટે કેટલાક પૈસા ગણેશ પાસેથી ઉધાર લીધા હતા. પરંતુ લૉકડાઉનમાં બિઝનેસ ન ચાલ્યો અને બધા પૈસા ડૂબી ગયા. ગણેશ વારંવાર પૈસા માંગી રહ્યો હતો. આ વાતથી બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો હતો. આરોપીએ જણાવ્યું કે સંતોષનું અપહરણ કર્યા બાદ ડંડો મારીને તેને બેભાન કરી દેવામાં આવ્યો હતો. પછી તેને જેસીબીથી કચડી નાખ્યો. કારણ કે સંતોષના ફોનમાં છેલ્લો કૉલ ગણેશનો જ હતો, એટલે પોલીસ સરળતાથી તેના સુધી પહોંચી ગઈ.