સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલે લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી પર શું કર્યો મોટો ખુલાસો?
14 જૂન 2020 ના રોજ વિશ્વને અલવિદા કહી ચૂકેલા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું રહસ્ય હજી ઉકેલાયું નથી. મુંબઈ પોલીસ બાદ બિહાર પોલીસમાંથી પસાર થતી હવે સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. સીબીઆઈની સાથે અન્ય તપાસ એજન્સીઓ પણ જુદા જુદા મુદ્દાઓ પર આ કેસમાં તપાસ કરી રહી છે. આ બધાની વચ્ચે રાજપૂત પરિવારના વકીલ વિકાસસિંહે પત્રકાર પરિષદ કરતી વખતે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
વિકાસસિંહે પ્રેસ કોન્ફરન્સમાં દિવંગત અભિનેતાની જીવન વીમા પોલિસી અંગે ઉડતી અફવાઓ પર રોક લગાવી છે. વિકાસસિંહે કહ્યું, ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની એક જીવન વીમા પોલિસી હતી, જે મુજબ સુશાંત આત્મહત્યા કરે તો તેના પરિવારને પૈસા નહીં મળે. આ સમાચાર સંપૂર્ણપણે અસત્ય છે, સુશાંત પાસે આવી કોઈ પૉલિસી નહોતી.
વિકાસસિંહે પ્રેસ કોન્ફરન્સમાં ઘણા વધુ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો આપ્યા હતા. વિકાસસિંહે કહ્યું કે, ‘સુશાંતની બહેનો આજે મને મળ્યા અને દુખ વ્યક્ત કર્યું કે તેમની વિરુદ્ધ એક કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યુ છે, જેથી આરોપી રિયા ચક્રવર્તીને ટેકો મળી શકે. તેઓ બહેનો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનથી નારાજ છે અને તેઓ બધાને જુઠ્ઠાણા ફેલાવીને તણાવ ન ફેલાવવા વિનંતી છે.
વિકાસ સિંહે તેમની પ્રેસ કોન્ફરન્સમાં સૌથી વધુ ભાર મૂક્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતના જીવનમાં રિયા ચક્રવર્તી આવ્યા પછી જ અભિનેતાની માનસિક સ્થિતિને અસર થઈ હતી. સુશાંતની માનસિક સ્થિતિ 2019 સુધી સંપૂર્ણ રીતે ઠીક હતી. રિયાના આગમન પછી જ સુશાંતની માનસિક સ્થિતિ કથળવાની શરૂઆત થઈ.
વિકાસસિંહે કેટલાક મીડિયા હાઉસનું નામ લીધા વિના નિશાન સાધતા કહ્યું કે, ‘કેટલાક મીડિયા હાઉસ તેમના મનની અનેક વાર્તાઓ ચલાવી રહ્યા છે. હજી સુધી અમે કોઈ પર આવી કોઈ કાર્યવાહી કરી નથી. પરંતુ હવે આ પ્રેસ કોન્ફરન્સ બાદ પણ જો તેમ થાય તો અમારે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે.