ભોપાલઃ સોશિયલ મીડિયા પર મધ્ય પ્રદેશની કિરણ રાજપૂતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેણે રવિવારે લાઈવ વીડિયોમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા પોતાના હાથની નસ કાપી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ 15 મિનિટમાં જ તેના ઘરે પહોંચી અને યુવતીને સારવાર માટે ખસેડતા તેનો જીવ બચી ગયો હતો. 5 મહિના અગાઉ કિરણના પિતા તરુણ સિંહ રાજપૂતની હત્યા કરવામા આવી હતી. જેના લીધે દીકરી પોલીસ સમક્ષ આરોપીને સજા અપાવવા તથા પરિવારને ન્યાય અપાવવા માગ કરી રહી હતી. જ્યારે તેને ન્યાય ના મળ્યો તો તેણે લાઈવ સુસાઈડનો પ્રયાસ કર્યો. વીડિયો શેર કરતા તેણે કહ્યું કે, તંત્ર આરોપીઓને બચાવી રહ્યું છે.
કિરણના આ પગલાને કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું, એક તરફ એએસપી રાજેશ ભદૌરિયાએ આ મામલે તપાસ ચાલી રહી હોવાની અને પીડિત પરિવારને ન્યાય મળવાની વાત કરી હતી. આ ઉપરાંત મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે,’રાજ્યની કોઈ દીકરી સાથે અન્યાય નહીં થાય. તેને જરૂર ન્યાય મળશે. આરોપી જે પણ હોય, પોલીસ કાર્યવાહી કરશે.’ કિરણે વીડિયો શેર કરતા પોતાની પીડા વ્યક્ત કરી હતી અને આરોપીઓને બચાવવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી.
આ મામલે ડીઆઈજી ઈરશાદ વલીએ કહ્યું કે, અધિકારીઓને સાથે રાખતા આ મામલે આગળની કાર્યવાહી કરવામા આવી રહી છે. ગત કેસમાં યુવતીની રિપોર્ટ પર ગોવિંદપુરા પોલીસે કુલ 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. આ મામલે ચાર્જશીટ પર દાખલ કરવામા આવી છે. આ મામલે સતત કાર્યવાહી કરવામા આવી રહી છે.
આ ઘટના ભોપાલના ગોવિંદપુરા વિસ્તારની છે જ્યાંથી અમુક અંતરે જ મંત્રીઓ અને અધિકારીઓ રહે છે. કિરણ છેલ્લા 6 મહિનાથી પિતાની હત્યા મામલે ન્યાય મેળવવા સીએમ ઓફિસના ધક્કા ખાઈ રહી છે પરંતુ તેને ન્યાય નથી મળ્યો. પોલીસકર્મીઓ તેને સીએમ આવાસ સામે આવવા દેતા નથી. 16 એપ્રિલના કિરણના પિતાની અમુક ગુંડાઓએ ઘરમાં ઘુસી હત્યા કરી હતી અને તેના ભાઈનું માથું ફોડી નાંખ્યું હતું. અમુક લોકો ઘરની સામે રહી ગાળો ભાંડતા હતા તેથી કિરણના પિતાએ તેમને અટકાવતા તેમની હત્યા કરવામા આવી હતી.
કિરણે એન. ચૌહાણ નામના તપાસ અધિકારી પર લાંચ લેવાનો અને ચાર્જશીટ બગાડવાનો આરોપ લગાવ્યો હતો. કિરણ અને તેની માતા સાથે એએસઆઈ અરવિંદ કૌરવ દ્વારા ખરાબ વ્યવહાર કરાયાની પણ પીડિતાએ ફરિયાદ કરી હતી.
કિરણના પિતા એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતા હતા. પરિવારનું ગુજરાન ચલાવવા માટે કિરણ અને તેની બહેનો તથા માતા બગીચામાં રમકડા વેચતા હતા. કિરણની 3 બહેન અને 2 ભાઈ છે. માતાને આઘાત લાગ્યો હોવાથી તેમની સ્થિતિ ઘણા સમયથી ખરાબ રહે છે.