નવી દિલ્હીઃ હાલનાં સમયમાં દુનિયા કોવિડ-19ની સામે જંગ લડી રહી છે. આ વાયરસે શરૂઆતમાં ચીનમાં તબાહી મચાવી હતી. આ વાયરસનાં સંક્રમણનો પહેલો મામલો 2019 નવેમ્બરમાં સામે આવ્યો હતો. પરંતુ તે બાદ દુનિયાએ તેને હળવાશથી લીધો હતો. આજે આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 21 લાખને વટાવી ગઈ છે અને મૃત્યુની સંખ્યા 1.5 લાખ થઈ ગઈ છે. કોરોના વાયરસ વિશે ઘણી અફવાઓ છે જેમ કે આ વાયરસથી વિશ્વનો અંત કરી નાંખશે.
ઘણા લોકો 2020ને અપશુકનિયાળ કહી રહ્યા છે. આ વર્ષની શરૂઆતથી, ઘણી આફતો આવી છે, જેમાં ભારે નુકસાન થયું છે. દરમિયાન, એક અફવા પણ બહાર આવી કે 29 એપ્રિલના રોજ દુનિયા ખતમ થઈ જશે. બાદમાં કન્ફર્મ થયુ કે, તે માત્ર એક અફવા છે. ઉલ્કાપિંડ પડશે જરૂર પણ પૃથ્વી ઉપર નહી. આ બધા વચ્ચે યૂકેનાં કેમ્બ્રિઝશાયરમાં આકાશમાંથી આગનાં ગોળા દેખાયા હતા. જેને જોઈને લોકો ચોંકી ગયા છે. આ ગોળાને જોઈને લોકો હવે દુનિયા ખતમ થવાની વાત પર વિશ્વાસ કરવા લાગ્યા છે.
16 એપ્રિલના રોજ યુકેના કેમ્બ્રિઝશાયરમાં 55 વર્ષીય ગેર્રી અંડરવુડે આકાશમાં એક વિચિત્ર વસ્તુ જોઇ હતી. આગ જેવી આ વસ્તુ આકાશમાંથી નીચે પડી રહી હતી.
ધીમે ધીમે તે જમીનને અથડાઈ અને જોરદાર વિસ્ફોટ થયો. ગેર્રીએ તેનો ફોટો લીધી અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. જ્યાં તે વાયરલ થયો હતો.
આ અજીબોગરીબ વસ્તુ લાંબી હતી. તે નીચે ઝાડની નજીક જઈને ગાયબ થઈ ગઈ. ગેર્રીના કહેવા મુજબ તે ધીમે ધીમે જમીન તરફ આગળ વધી રહી હતી.
2020ની શરૂઆતમાં બધાએ નવુ વર્ષ શુભ અને સારું વિતે એવી શુભેચ્છા પાઠવી હતી. પરંતુ વર્ષની શરૂઆત ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગના સમાચારોથી થઈ હતી.
આ પછી, કોરોનાનો આતંક ડિસેમ્બરથી ચીનમાં દેખાવા લાગ્યો, જે હવે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. દરમિયાન યુરોપમાં પણ ભૂકંપના આંચકાએ લોકોને ડરાવી દીધા હતા. થોડા દિવસો પહેલા દિલ્હીમાં પણ આંચકા અનુભવાયા હતા.
ત્યારબાદ ઇન્ડોનેશિયાના સૌથી સક્રિય જ્વાળામુખીમાંના એક માઉન્ટ મેરાપીમાં વિસ્ફોટ થયો. આ જ્વાળામુખીમાં માર્ચ મહિનામાં જ બે વાર વિસ્ફોટ થયો હતો.
છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાનો કહેર યથાવત છે. દરમિયાન, ઉલ્કાઓ પડવાના સમાચારથી લોકો બેચેન થયા હતા. જોકે, નાસાએ સ્પષ્ટતા કરી છે કે તેનાથી પૃથ્વી પર કોઈ ખતરો નથી.
આ અહેવાલોની વચ્ચે લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી વાતો કહી હતી. એવા ઘણા લોકો છે જે તેને દુનિયા ખતમ થવાના સંકેતો માને છે.