મુંબઈઃ કોરોના મહામારીની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મોટી રાહત આપી છે. મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યો છે કે આવતા ત્રણ મહિના સુધી મકાન માલિકો ઘરમાં રહેતાં લોકો પાસેથી ભાડુ ના વસુલે. સાથે જ ઘરને ખાલી કરવા માટે ના કહે. જો કોઈએ ભાડુ ના આપવાને કારણે ઘર ખાલી કરાવ્યુ તો રાજ્ય સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 7નાં મોતઃ મહારાષ્ટ્રમાં 17 એપ્રિલ સુધીમાં કોરોનાનાં 3205 કેસ થઈ ગયા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 288 નવા કેસ મળ્યા છે. જ્યારે 7 વધુ લોકોનાં મોત થયા છે. આજ રીતે કોરોનાથી મરનારા લોકોની સંખ્યા વધીને 194 થઈ ગઈ છે.
કોરોનાથી મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોતઃ દેશમાં કોરોનાથી સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં 53, દિલ્હીમાં 38, ગુજરાતમાં 36, તેલંગાણામાં 18 લોકોનાં મોત થયા છે. તેના સિવાય તામિલનાડુમાં 15, આંધ્રપ્રદેશમાં 14 અને પંજાબમાં 13, ઉત્તરપ્રદેશમાં 13 અને કર્ણાટકમાં 13 લોકોનાં મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, પશ્વિમ બંગાળમાં 10 અને જમ્મૂ-કાશ્મીરમાં 4 લોકોનાં મોત થયા છે.
દેશમાં કોરોનાનાં 13,387 કેસઃ આ લખાય છે ત્યાં સુધીમાં દેશમાં કોરોનાનાં કુલ 13,387 કેસો સામે આવ્યા છે. 1749 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો, એક દિવસમાં 1007 નવા મામલાઓ સામે આવ્યા છે. 23 લોકોનાં મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ, લોકડાઉન પહેલાં કોરોના મામલામાં ડબલિંગ રેટ લગભગ 3 દિવસ રહ્યા હતો. છેલ્લાં 7 દિવસનાં આંકડા મુજબ ડબલિંગ રેટ હવે 6.2 દિવસોનો છે. 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તો ડબલિંગ રેટ દેશનાં ડબલિંગ રેટ કરતાં ઓછો છે.