ગણતરીના કલાકોમાં જ મુકેશ અંબાણીના ડૂબ્યા અધધધ કરોડ રૂપિયા, રિલાયન્સના શેરમાં થયો મોટો કડાકો
મુંબઈઃ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને અમુક જ કલાકમાં 37,200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ક્વાર્ટરના પરિણામોમાં નફો આશા અનુસાર ના હોવાને કારણે આમ થયું. સોમવારે બપોરના 12 કલાકે દેશની સૌથી વેલ્યૂએબલ કંપનીના શેરોમાં 6.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 12 મે બાદ આ સૌથી મોટો ઘટાડો હતો, આ ઉપરાંત 20 જુલાઈ બાદ કંપનીના શેર તેના નીચલા સ્તરે છે.
આ ઘટાડાની અસર મુકેશ અંબાણીની સંપત્તિ પર પણ પડી હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, માર્ચ બાદ પ્રથમવાર મુકેશ અંબાણીની સંપત્તિમાં આટલો ઘટાડો નોંધાયો હતો. તેમની સંપત્તી હવે 73 અબજ ડૉલર છે.
રિફાઈનિંગથી લઈ રિટેલ સેક્ટર સુધી એન્ટ્રી કરી ચૂકેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ક્વાર્ટર પરિણામો 15 ટકા ઓછો નફો નોંધાયો. કંપનીને 95.7 અબજ રૂપિયાનો નફો થયો છે. આ ઉપરાંત કંપનીની રેવેન્યૂમાં પણ 24 ટકાનો ઘટાડો નોંધાયો છે. રિલાયન્સ ગ્રૂપે 1.16 અબજ રૂપિયાની રેવેન્યૂ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેળવી છે.
કોરોના સંકટના કારણે લૉકડાઉન સમયે ઈંધણની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો હતો. તેની અસર કંપનીના નફા પર પણ જોવા મળી છે. જોકે કંપનીએ ઝડપથી પોતાની યોજના બદલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે ઓયલ એન્ડ પેટ્રોકેમિકલ્સના બિઝનેસ બહાર ટેક્નોલોજી અને ડિજીટલ સર્વિસિસ તરફ ઝડપથી આગળ વધી રહી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નફા અને કમાણીના ઘટાડાને કારણે મુકેશ અંબાણી યોગ્ય યોજના અનુસાર આગળ વધતા હોવાનું સાબિત થયું છે. કંપની ઝડપથી પેટ્રોકેમિકલ્સ અને એનર્જી સેક્ટરના બિઝનેસ પરની નિર્ભરતાને ઓછી કરવાના પ્રયાસમાં છે. આ જ કારણે મુકેશ અંબાણી રિલાયન્સ જીયોમાં ફેસબુક અને ગૂગલ સહિત ઘણી વૈશ્વિક કંપનીઓ તરફથી 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મેળવવામાં સફળ થયા છે.