મુંબઈઃ ટીવીના લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા’ના કલાકારો આજના સમયે પણ લોકોનું મનોરંજન કરી રહ્યાં છે. લૉકડાઉન બાદ શોમાં અમુક નવા લોકો સામેલ થયા છે અને તેમનું કામ પણ લોકોને ગમી રહ્યું છે. શોમાં બબીતાજીના પતિ અય્યરનો રોલ કરતા તનુજ મહાશબ્દે અંગે સમાચાર સામે આવી રહ્યાં છે. એવા અહેવાલ છે કે, તનુજ હાલ સિંગલ છે અને તે આગામી વર્ષે લગ્ન કરી શકે છે. તેની ઉંમર 46 વર્ષ છે.
એક એન્ટરટેનમેન્ટ વેબસાઈટ અનુસાર, તનુજે કહ્યું કે,‘લગ્નની વાત છે તો જો ભગવાનની ઈચ્છા હશે તો આવતા વર્ષે 2021માં હું ચોક્કસ લગ્ન કરી લઈશ.’ કો-સ્ટાર બબીતા વિશે અય્યરે કહ્યું કે,‘અમે ઘણા પ્રોફેશનલ એક્ટર છીએ. જેવી જ શૂટિંગ પૂર્ણ થાય છે એટલે તરત તે પોતાના રસ્તે હું મારા રસ્તે. અમે માત્ર સારા મિત્રો છીએ. લોકો શોમાં મારી અને મુનમુનની જોડીને પસંદ કરે છે.’
તનુજે દયાબેનના કમબેક વિશે કહ્યું કે,‘અમે પણ આ અંગે વાત સાંભળી છે. વાસ્તવમાં તેમની દીકરી હજી નાની છે અને કોરોનાનું જોખમ પણ છે, તેથી તેમણે શોથી અંતર રાખ્યું છે. અમે સેટ પર દયા બેનને મિસ કરી રહ્યાં છીએ. તેમનું સ્થાન કોઈ નથી લઈ શકતું. જો તે કમબેક કરશે તો અમને ખુશી થશે.’
શોમાં દક્ષિણ ભારતીય વૈજ્ઞાનિકનો રોલ કરતા મહાશબ્દે મધ્ય પ્રદેશના છે. તેઓ આ શોમાં પ્રારંભથી જ જોડાયેલા છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, અય્યરના રોલ માટે તેઓ ચેન્નાઈમાં રહ્યાં હતા અને ત્યાંના લોકોને ઓબ્ઝર્વ કરતા હતા.