સમગ્ર દુનિયા હાલ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. પરંતુ આ બધાની વચ્ચે કોરોનાથી ચાલી રહેલા યુદ્ધમાં ભારતની સ્થિતિના વખાણ સમગ્ર દુનિયામાં થઇ રહ્યાં છે. ભારતમાં લાગુ લોકડાઉન, અહીં ડ્યુટી પર તહેનાત કોરોના વોરિયર્સ અને દેશવાસીઓના ધૈર્યની પ્રસંશા કરવામાં આવી રહી છે. જેનું સાચું કારણ દિલ્હીમાં તહેનાત આનંદ મિશ્રા જેવા દેશના સાચા સિપાહી જ છે. આનંદ મિશ્રા એક આઇપીએસ ઓફિસર છે જે હાલ દિલ્હીમાં એડિશનલ ડેપ્યુટી કમિશનર તરીકે પોતાની ફરજ નીભાવી રહ્યાં છે.
આનંદ મિશ્રા 2009 બેંચના IPS ઓફિસર છે. હાલ તેઓ દિલ્હીની બહાર એડિશનલ ડેપ્યુટી કમિશનર તરીકે તહેનાત છે. આનંદને ગત માર્ચે જાણવા મળ્યું કે તેઓને ગળામાં થાયરોયડ કેન્સર છે. એ સમયે આનંદ કોરોના સંક્રમણ સામેના યુદ્ધમાં વિશેષ ડ્યુટીમાં તહેનાત હતા.
આનંદને ગળામાં ખુબ જ દુખાવો અને સોજો હોવાનો અનુભવ થયો. એ દરમિયાન લોકડાઉન જાહેર થઇ ચૂક્યું હોવાથી આનંદની જવાબદારી વધી ગઇ હતી. તેઓએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યાં વગર ડ્યુટીને પ્રાથમિકતા આપી. આનંદે થોડા દિવસ બાદ ગળાની તપાસ કરાવી હતી તો જાણવા મળ્યું કે તેઓને થાયરોઇડ કેન્સર છે. ડોક્ટરે તેઓને તુરંત ઓપરેશન કરવાની સલાહ આપી. પરંતુ એ સમયે સમાજને આનંદની વધુ જરૂર હોવાનું વિચારી તેઓએ ડ્યુટી ચાલુ રાખી.
આનંદની જ્યાં ડ્યુટી હતી એ વિસ્તારમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજુર રોકાયેલા હતા. એવામાં તેમના ભોજન વગેરેની વ્યવસ્થા કરવાની જવાબદારી આનંદની હતી. આનંદે ડ્યુટી કરવાનું વધુ યોગ્ય લાગ્યું અને પોતાની બીમારીને છૂપાવી રાખી.
થોડા દિવસ બાદ જ્યારે અસહનીય દુખાવો શરૂ થયો તો આનંદે સૌથી પહેલા આ વાત મથુરામાં ડીએસપી તરીકે તહેનાત તેમની પત્ની અલોકને જણાવી. ત્યારબાદ તેઓને બેંગલોરમાં રહેતા પોતાના મોટા ભાઇને પણ જાણ કરી. બંનેએ આનંદને ડોક્ટર પાસે જવાની સલાહ આપી.
બાદમાં ડોક્ટર પાસે ગયા બાદ આનંદનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું. હાલમાં જ આનંદ મિશ્રાએ રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટીટ્યુટમાં ઓપરેશન કરાવ્યું. પોતાની બીમારી અંગે માર્ચના અંતિમ સપ્તાહમાં આનંદને જાણવા મળ્યું હતું. પરંતુ તેઓએ બીમારીથી ડરીને ઘરમાં બેસવાની જગ્યાએ ડ્યુટીને પ્રાધાન્ય આપ્યું.
હાલ આનંદ મિશ્રાની સ્થિતિ પહેલા કરતાં વધુ સારી છે અને હજુ પણ તેઓ હોસ્પિટલમાં ભરતી છે. આનંદ મિશ્રાનું કહેવું છે કે આશા છે કે સપ્તાહમાં તેઓ ફરી ડ્યુટી જોઇન કરી આ સંકટના સમયમાં જનતાની મદદ કરી શકશે.