અમરોહા: એક જાણીતો ડાયલૉગ છે કે ‘શૌખ બડી ચીજ હૈ’. તેનું એક મોટું ઉદાહરણ અમરોહામાં જોવા મળી રહ્યું છે. લૉકડાઉનના કારણે પાનના શૌખીન લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાન ના મળવાના કારણે અમુક લોકોએ આ સમસ્યાનો ટેમ્પરરી વિકલ્પ શોધી લીધો છે. લોકો જામફળના પાન પર કાથો લગાવી તેનો ઉપયોગ કરી રહ્યાં છે. આ રીતે તેઓ પોતાના પાન ખાવાના શોખને પૂર્ણ કરી રહ્યાં છે.
અમરોહા શહેરથી આવી તસવીરો સામે આવી રહી છે, જેના કારણે લોકો ચોંક્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશની જેમ અમરોહામાં પણ પાનના ગલ્લા બંધ હોવાના કારણે ઘણા લોકોને સમસ્યા થઈ રહી છે. લોકોએ જણાવ્યું કે, પાન ખાવા માટે કોઈપણ પ્રકારની વસ્તુઓ હાલ ઉપલબ્ધ થઈ રહી નથી. એવામાં પાન ખાધા વગરનું જીવન જીવવું જાણે શક્ય જ ના હોય તેવું લાગી રહ્યું છે.
પાનના શોખીન એક વૃદ્ધ મહિલા કનિઝ ફાતિમાએ કહ્યું કે,‘હાલ દુકાનો બંધ છે. તેથી પાન કે તેની માટેનો કોઈપણ સામાન ના મળતો હોવાથી અમે જામફળના પાન ખાવા લાગ્યા. હું બાળપણથી જ પાન ખાવાનો શોખ રાખું છું અને હવે 80 વર્ષ થવા આવ્યા. પરંતુ હાલ પાન અને સોપારી વગર જ શોખ પૂર્ણ કરવો પડે છે. શું કરીએ, તલબ લાગે તો કંઈક તો કરવું પડે. તમામ દુકાનો પણ બંધ છે.’
પાનના શોખીન શકીલ અહમદે કહ્યું કે, લોકો જામફળના પાન પર કાથો લગાવી હાલ પોતાની તલબ દૂર કરી રહ્યાં છે. જ્યારે યુપી સરકાર દ્વારા પાન, ગુટખા, તંબાકુ પરથી પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય લેવાતા લોકો ખુશ જોવા મળી રહ્યાં છે. ઘણા લોકો પહેલાની જેમ યોગ્ય પાન મળે તેની રાહ જોઈ રહ્યાં છે. બીજી તરફ છેલ્લા 50 વર્ષથી પાન ખાવાનો શોખ ધરાવતા લોકો જામફળના પાન ખાઈને સ્વાદ બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
પાનના અન્ય એક શોખીન મજીબુર્રહમાને કહ્યું કે,‘પાન માટે લોકો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. અહીં લોકો જામફળના પાન પર કાથો લગાવી તેનો ઉપયોગ કરી રહ્યાં છે. સરકારે પ્રતિબંધ હટાવીને સારું કામ કર્યું છે પરંતુ પાન મળવાનું શરૂ થાય પછી જ કંઈક ખુશી મળશે.’