બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે રવિવારે આત્મહત્યા કરી લીધી છે. પ્રારંભિક માહિતી અનુસાર સુશાંતે મુંબઇના બાંદ્રા સ્થિત તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત આખા બિહારના લોકો આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે એક સારો વ્યક્તિ કેવી રીતે આવું કામ કરી શકે છે. તેના ચાહકો અને બાળપણના મિત્રો માનવામાં અસમર્થ છે કે સુશાંત હવે આ દુનિયામાં નથી.
મુંબઇમાં રહેતો હોવા છતાં સુશાંતને તેના ગૃહ રાજ્ય બિહાર સાથે વિશેષ જોડાણ હતું. તે રાજધાની પટનાની એક પ્રખ્યાત શાળા સેન્ટ કેરેન્સનો વિદ્યાર્થી હતો. જ્યાં તેણે વર્ષ 1996માં આ સ્કૂલમાં એડમિશન લીધા બાદ વર્ષ 2000માં દસમું પાસ કર્યુ હતું. આ અંગે શાળા સંચાલકે પણ માહિતી આપી છે. આ પછી, તે દિલ્હીની એક સ્કૂલમાં ભણવા ગયો હતો.
સુશાંતસિંહ રાજપૂત જ્યારે પણ તેમના ગામ અથવા પટનાની મુલાકાતે આવતો ત્યારે તે તેમના બાળપણના મિત્રોને મળતો હતો. આ અંગે જ્યારે તેના મિત્ર રવિ પ્રકાશને ખબર પડી ત્યારે તે સુન્ન થઈ ગયો હતો.
તે કહે છે કે અમે માની શકીએ નહીં કે સુશાંત આ કરી શકે. તે હંમેશા અમારી સાથે પોઝીટીવ વાતો કરતો હતો, જ્યારે તે થોડા મહિના પહેલા પટણા આવ્યો ત્યારે અમે તેની સાથે ક્રિકેટ પણ રમ્યા હતા. તે હંમેશા હસતો રહેતો હતો, તે ક્યારેય આવું કરશે તે વિચાર્યુ ન હતુ.
સુશાંત સિંહ રાજપૂતનો ભાઈ નીરજકુમાર બબલુ બિહારમાં ભાજપના ધારાસભ્ય છે. તેના મૃત્યુની જાણ થતાં જ પરિવારના બધા સભ્યો ચોંકી ઉઠ્યા હતા.
બીજી તરફ, બિહારમાં રહેતા સુશાંતના મામા કહે છે કે સુશાંત આ કરી શકે નહી. તેની પાછળ એક મોટું ષડયંત્ર છે, તે બીજાને માર્ગદર્શન આપતો હતો,તો તે આવું પગલું ભરી શકે નહી.
પટનાના લોકોને સુશાંતનાં આપઘાતની જાણ થતાં જ તેઓ તેના રાજીવનગર રોડ નંબર 6 સ્થિત ઘરની બહાર ભેગા થઈ ગયા હતા. તે ગયા વર્ષે જ્યારે બિહાર ગયો હતો ત્યારે તેણે તેનાં બાળપણનાં મિત્રોની સાથે ક્રિકેટ રમી હતી.