નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, શનિવારે લાલકિલ્લા પરથી કોરોના વેક્સિનને લઇને મોટું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલ દેશમાં ત્રણ વેક્સિન પર ટ્રાયલ ચાલી રહ્યું છે. જ્યારે વૈજ્ઞાનિક તરફથી તેમને મંજૂરી આપવામાં આવશે ત્યારે વેક્સિનનું મોટા પાયે પ્રોડકશન કરાશે, જેથી વધુમાં વધુ લોકો સુધી વેક્સિનને પહોંચાડી શકાય.
સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું, ‘જ્યારે પણ કોરોનાની વાત થાય છે, તો દરેક લોકોના મનમાં સવાલ થાય છે કે, આખરે વેક્સિન ક્યારે તૈયાર થશે? દેશના વૈજ્ઞાનિકોની પ્રતિભા ઋષિ મુનિની જેવી છે. જે લેબમાં સખત તપસ્યા કરી રહ્યાં છે.’ વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતમાં એક નહીં પરંતુ ત્રણ ત્રણ વેક્સિન પર અલગ અલગ તબક્કામાં કામ થઇ રહ્યું છે.
પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા જણાવ્યું કે વૈજ્ઞાનિકો દ્વારા જ્યારે વેક્સિનને લીલી ઝંડી મળી જાશે. તો વેક્સિનું મોટા પાયે પ્રોડકશન કરવામાં આવશે. તેની તૈયારી થઇ ગઇ છે. આ સાથે વેક્સિનને ટૂંકા સમયમાં વધુ લોકો સુધી પહોંચાડવાની પણ એક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વેક્સિન પર PM મોદીનું ટ્વીટઃ આજે ભારતમાં એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વેક્સિન ટેસ્ટિંગ તબક્કામાં છે. વૈજ્ઞાનિકો જ્યારે વેક્સિનને લીલી ઝંડી આપશે ત્યારે વેક્સિનનું મોટા પાયે ઉત્પાદન શરૂ થઇ જશે.
ભારત બાયોટેકના માર્ગદર્શન હેઠળ દેશમાં કુલ 12 સેન્ટર પર કોરોના વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. દેશના અલગ- અલગ ભાગમાં અત્યાર સુધી પહેલું ટ્રાયલ પુરૂ થઇ ગયું છે અને સપ્ટેમ્બરના શરૂઆતમાં બીજો ફેઝ શરૂ થઇ શકે છે.
દિલ્લી-પટના-ચેન્નઇ સહિત કેટલીક જગ્યાએ લોકોએ ટ્રાયલ માટે તૈયારી બતાવી છે. જેના પર ટ્રાયલ થઇ રહ્યું છે. આ સાથે સીરમ ઇન્સ્ટીટ્યૂટની તરફથી ટ્રાયલ બાદ પ્રોડક્શન પર પણ કામ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રશિયાએ કોરોના વેક્સિન બનાવી લીઘી હોવાનો દાવો કર્યો છે. જો કે હજુ તેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી તેને મંજૂરી નથી મળી.આ સ્થિતિમાં હાલ રશિયાની વેક્સિનને લઇને પણ અનેક દુવિધા છે. હાલ અમેરિકા, ઇઝરાયલ, બ્રિટેન, ચીન, રશિયા અને ભારત જેવા મોટા દેશ વેક્સિન પર કામ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જ વેક્સિન બનાવવા મુ્દ્દે એક બેઠક કરી હતી.
દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કોરોના વાયરસને લઇને એક વિશેષ વાત કરી. ”જ્યારે કોરોના શરૂ થયો હતો. ત્યારે આપણા દેશમાં કોરોના ટેસ્ટિંગ માટે માત્રે એક લેબ હતી. આજે દેશમા 1,400થી વધુ લેબ્સ છે. આજે દેશમાં એક બીજુ મોટું અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે.
શું છે હેલ્થ આર્ઇડી કાર્ડ? પીએમ મોદીએ આ અભિયાન વિશે વાત કરતા જણાવ્યું કે, આપની બીમારી સંબંધિત બધી જાણકારી હવે એક હેલ્થ આઇડી કાર્ડમાં સામેલ થશે. આપે કરાવેલ દરેક ટેસ્ટ, દરેક બીમારી, તેમજ આપને ક્યાં ડોક્ટરે કઇ દવા આપી છે, આપનો રિપોર્ટસ શું હતો. આ તમામ જાણકારી એક હેલ્થ આર્ઇડી કાર્ડમાં સમાવિષ્ટ થશે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લાવશે.
વેક્સિન પર ભારતની દાવેદારીઃ ભારત બાયટેક ઇન્ટરનેશનલ લિમિટેડ અને ઝાયડસ કૈડિલા ભારતમાં કોરોનાની વેક્સિન પર કામ કરી રહ્યાં છે. ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડની વેક્સિનનું નામ કોવેક્સીન છે.