નવી દિલ્હીઃ એક અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે કે કોરોનાવાઈરસના દર્દીઓની આંખોમાંથી કેટલાંક સપ્તાહો સુધી કોરોનાવાઈરસ ફેલાવાનો ખતરો બની રહે છે. તપાસ દરમ્યાન સંક્રમણના લગભગ 21 દિવસ બાદ પણ એક મહિલાની ગુલાબી આંખોમાં વાઈરસ મળ્યા હતા.
આ પહેલાં માર્ચમાં આ વાત સામે આવી હતી કે કોરોના પીડિત લોકોની આંખો લાલ અથવા તો ગુલાબી હોઈ શકે છે. અમુક સ્ટડીઝ મુજબ, કોરોના સંક્રમિત થનારા અમુક લોકોની આંખોનો રંગ બદલાઈ જાય છે. કન્ઝક્ટિવાઈટિસનો શિકાર થાય છે. એવાં લોકોનો આંકડો કુલ પીડિતોમાં એક ટકા અથવા તેનાથી ઓછો માનવામાં આવે છે.
ઈટલીનાં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર ડિસીઝના રિસર્ચર્સે આ વિષય પર અભ્યાસ કર્યો છે. તેમને સંક્રમણનાં લગભગ 21 દિવસ બાદ પણ 65 વર્ષની મહિલાની આંખોમાંથી વાઈરસ મળ્યા હતા. આ અભ્યાસને Annals of Internal Medicineમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે, કોરોનાવાઈરસ એક વ્યક્તિના છીંકવાથી અથવા કફ દ્વારા બીજામાં ફેલાય છે, પરંતુ એક નવો અભ્યાસ સૂચવે છે કે આંખોમાંથી ખતરો હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ તેની પોતાની આંખોને સ્પર્શ કરે છે, તો વાઈરસનો ચેપ તેના હાથમાંથી પણ ફેલાય છે.
ઘણાં પ્રકારના બેક્ટેરિયા અને વાઈરસને લીધે લોકોને કન્ઝક્ટિવાઈટિસની સમસ્યા આવી છે. આની સાથે ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ પણ થવા લાગે છે.
અમેરિકામાં એવા કેટલાક કિસ્સા પણ બન્યા છે, જ્યારે દર્દીને આંખો ગુલાબી હોવા ઉપરાંત કોરોનાના અન્ય કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા.
સંશોધનકારો એમ પણ માને છે કે કોરોનાવાઈરસથી પીડિત વ્યક્તિની આંખોમાં ફ્લૂડ તેની નકલ તૈયાર કરવાનું શરૂ કરે છે. આને કારણે, દર્દીના આંસુથી કોરોના ફેલાવાનું જોખમ રહેલું છે.