આ દેશમાં કોરોનાવાઈરસથી એક પણ મોત નહીં, આ રીતે મહામારીને આપી રહ્યો છે ટક્કર
હનોઈઃ કોરોનાવાઈરસના કહેરથી દુનિયાનાં શક્તિશાળી દેશોમાં હાહાકાર મચેલો છે. 2 લાખથી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કોરોનાને લઈને ચાલી રહેલી ચર્ચાની વચ્ચે એક વિકાસશીલ દેશ પણ ચર્ચામાં છે, જ્યાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. જ્યારે કે આ દેશની સીમા ચીનની સાથે જોડાયેલી છે. અહીં વાત થઈ રહી છે વિયેતનામની. વિયેતનામમાં 9.7 કરોડની આબાદી છે. અહીં કોરોના સંક્રમણનાં 270 કેસો સામે આવ્યા છે. જ્યારે કે 140 લોકો સ્વસ્થ થયા છે. તો ચાલો જાણીએ આ દેશ કોરોનાને કારણે હજી સુધી કેમ સુરક્ષિત રહ્યો છે.
વિયેતનામે અત્યાર સુધી તેના દેશના લોકોને કોરોનાને કારણે મૃત્યુ તરફ જતા અટકાવી રાખ્યા છે. આની પાછળ સરકારની વ્યૂહરચના છે. જોકે, તેને નાગરિકતા સ્વતંત્રતા માટે અનુરૂપ માની શકાય નહી, પરંતુ રોગચાળાને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યુ છે.
તાપમાનનું નિરીક્ષણ અને પરીક્ષણ: વિયેતનામે ફેબ્રુઆરીથી જ તેના એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ કરી હતી. અહીં લોકોને તેમનું ટેમ્પરેચર સ્ક્રિનિંગ કરાવવું પડતું હતુ. આ ઉપરાંત લોકોને તેમના કોન્ટેક્ટ ડિટેઈલ્સ, ટ્રાવેલ અને હેલ્થ હિસ્ટ્રી વિશે પૂછવામાં આવ્યું હતું. દરેકને આ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી બન્યું હતું, પછી ભલે તે રસ્તા દ્વારા આવ્યા હોય અથવા અન્ય શહેરોમાંથી. હોસ્પિટલ અને સરકારી ઓફિસોમાં જતાં પહેલાં પણ આ માહિતી આપવી ફરજિયાત કરવામાં આવી હતી.
જ્યારે, કોઈ પણ લોકોના શરીરનું તાપમાન 38c હોય તો તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરાવવામાં આવતી હતી. જે કોઈએ પણ આ પ્રક્રિયામાં વિશ્વાસ ના કર્યો અથવા તેની વિગતો ખોટી આપી, તેના પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવતી હતી. આ ઉપરાંત બેંકો, રેસ્ટોરાં અને સંકુલમાં પણ સ્ક્રિનીંગ ફરજિયાત છે.
દેશભરમાં મોટા પાયે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ પરીક્ષણ કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા હતા, જેથી સામાન્ય લોકો પણ તેમની તપાસ કરાવી શકે. જો પોઝિટિવ નીકળે તો આખા ગામ અથવા વિસ્તારનો ટેસ્ટ કરાવવામાં આવે છે. સમગ્ર વિસ્તારમાં લોકડાઉન કરવામાં આવે છે.
એટલું જ નહીં, 5 માર્ચ સુધીમાં, વિયેતનામે જાતે પરીક્ષણ કિટ બનાવવાનું શરૂ કર્યું. તેનાંથી માત્ર 90 મિનિટમાં પરિણામ જાણી શકાય છે. એક ટેસ્ટ કીટનો ખર્ચ આશરે 20 ડોલર છે.
લોકડાઉન અને ક્વૉરન્ટીનઃ બીજુ કડક પગલું વિયેતનામે ક્વૉરન્ટીન અને લોકડાઉનને લઈને ભર્યુ હતુ. અહીં ફેબ્રુઆરીની મધ્યથી જ વિદેશમાંથી પાછા ફરેલાં નાગરિકોને 14 દિવસ ક્વૉરન્ટીનમાં રહેવા અને કોરોનાનો ટેસ્ટ કરાવવાનો નિયમ બનાવ્યો હતો. તો વિદેશી નાગરિકોને પણ 14 દિવસ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા.જો કોઈ પોઝિટિવ શખ્સના સંપર્કમાં આવે તો તેને જાતે જ ક્વૉરન્ટીન થવું અનિવાર્ય કરવામાં આવ્યું હતું.
માર્ચમાં વિયેતનામમાં શહેરોમાં લોકડાઉન શરૂ કર્યુ હતુ. અહી એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. અહીં જે લોકો અન્ય શહેરોમાં જવા માંગે છે, તેઓ ત્યાંનાં નાગરિક નથી, તેમને સરકાર દ્વારા નક્કી કરાયેલી જગ્યાઓ ઉપર ક્વૉરન્ટીન કરાશે અને આ 14 દિવસનો ખર્ચ તેમણે જ ઉઠાવવો પડશે.
અહીં એક ગામમાં કોરોના સંક્રમિત મળવા પર 10 હજાર લોકોને કેદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માર્ચમાં વિયેતનામની રાજધાની હનોઈમાં એક મોટી હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી, ત્યાં એક હેલ્થ કર્મચારી સંક્રમિત મળ્યા બાદ આખી હોસ્પિટલને લોકડાઉન કરવામાં આવી હતી. તેમાં 3200 લોકો હતા. આ ઉપરાંત વિયેતનામમાં વ્યવસાય પુરી રીતે બંધ છે. ટુરીઝમ અને એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીને પણ બંધ કરી દેવામાં આવી છે.
લોકોને કર્યા જાગૃત: જાન્યુઆરીની શરૂઆતમાં જ વિયેતનામ સરકારે નાગરિકોને કોરોનાવાઈરસ અંગે જાણકારી આપી દીધી હતી. અહીં લોકોને જણાવવામાં આવ્યુ હતુ કે, આ સામાન્ય ફ્લૂ જેવું નથી. પરંતુ તેને ગંભીરતાથી લેવામાં જરૂર છે. સાથે જ લોકોને પોતાની જાતને ખતરામાં ના નાખવાની સલાહ આપવામાં આવી હતી.
અહીં લોકોને કમ્યુનિકેટ કરવા માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ વિયતનામ સરકાર તરફથી પ્રધાનમંત્રીથી લઈને હેલ્થ મિનિસ્ટર, અન્ય મંત્રીઓ અને રાજ્ય સરકારો સુધી લોકોને મેસેજ કરીને કોરોના વિશે જાણકારી આપી હતી.
અહીં લોકોને લક્ષણ વિશે અને તેનાથી બચવાની રીતો વિશે જાણકારી આપવામાં આવી હતી. અહીં લોકોને કોરોના સંક્રમિત દર્દીઓ વિશે પણ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પગલાઓને કારણે વિયેતનામ હજી સુધી કોરોનાને માત આપવામાં સફળ રહ્યુ છે.