કોરોનાને લઈ થયો ચોંકાવનારા ખુલાસો, સામાજિક દૂરી માટે 2 મીટરનું અંતર પૂરતું નહીં
ન્યૂયોર્ક: સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસ મુદ્દે રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. અમેરિકાની એક ઈન્સ્ટિટ્યૂટ અનુસાર કોરોના વાઈરસ સંક્રમણથી બચવા ખાંસી અથવા છીંક ખાનાર વ્યક્તિથી 2 મીટરનું અંતર રાખવું પૂરતું નથી. એક રિસર્ચ અનુસાર, 4 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ ચાલતા પવનના કારણે પણ કોરોના વાઈરસ 6 મીટર સુધી ફેલાઈ શકે છે.
અમેરિકન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ હેઠળ ફિઝિક્સ ઑફ ફ્લુઈડ્સ જર્નલમાં પબ્લિશ થયેલાં રિપોર્ટ અનુસાર પવનની ગતિ શૂન્ય હોય તો ડ્રોપલેટ્સ 2 મીટર સુધી પણ નથી પહોંચી શકતા, પરંતુ પવનની ગતિ 4 થી 15 કિ.મી. પ્રતિ કલાકની હોય તો ડ્રોપલેટ્સ હવાની દિશામાં 6 મીટર સુધી ફેલાઈ શકે છે.
15 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તો ડ્રોપલેટ્સ 1.6 સેકન્ડમાં 6 મીટર સુધી પહોંચી જાય છે. તેથી સંક્રમણને ફેલાતો અટકાવવા માટે 2 મીટરનું સોશિયલ ડિસ્ટન્સિંગ પૂરતું નથી, આ કારણે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વાઈરસની વધુ અસર થઈ રહી છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ઘરની અંદર ડ્રોપલેટ્સનો વ્યવહાર અલગ હોઈ શકે છે. જોકે, આ મુદ્દે તેમને વધુ રિસર્ચ કરવાની જરૂર છે. મુખ્ય રીતે અલગ-અલગ પરિસ્થિતિઓમાં ડ્રોપલેટ્સના વ્યવહારને સમજવા માટે વધુ અને ઊંડાણપૂર્વક રિસર્ચ કરવાની જરૂર છે અને આ બાબતે તેઓ કામ કરી રહ્યાં છે.
કોરોના ફેલાવવાનું સૌથી વધુ જોખમ ખાંસવા અને નજીકથી વાત કરવા પર છે. તેને જોતા વિશ્વના તમામ દેશોએ ફેસ માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે.