લખનઉ: સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. દેશમાં કોરોના મહામારીને કારણે લોકોમાં ડરનો માહોલ છે. આ દરમિયાન ઝાંસીના મઉરાનીપુર તાલુકાની એક હોસ્પિટલનો સીસીટીવી વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે હોસ્પિટલમાં કેટલાક લોકો એક દર્દીને સાથે લાવી રહ્યાં છે. ડોક્ટર હજુ તો આ વ્યક્તિની ટ્રીટમેન્ટ શરૂ કરે એ પહેલા જ દર્દીનું મૃત્યું થઇ જાય છે. આ જોઇને જે લોકો દર્દીને લઇને આવ્યા હતા તેઓ તેને મૂકીને ફરાર થઇ જાય છે.
આ ઘટના મંગળવારે 21 તારીખે અંદાજે 11 વાગ્યે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મઉરાનીપુરના રાનીપુર બસ સ્ટેશન નજીક એક હોસ્પિટલમાં અજાણ્યા શખ્સો એક બીમાર વ્યક્તિને સારવાર માટે લઇને આવે છે. સાથે આવેલા લોકોએ સારવાર કરવા માટે દર્દીને બેંચ પર સૂવડાવ્યો. ડોક્ટર હજુ તો બીમારી વિશે પુછી જ રહ્યાં હતા કે દર્દી અચાનક બેંચ પરથી નીચે પડી ગયો.
દર્દીને નીચે પડતો જોઇ તેની સાથે આવેલા લોકો ચોંકી ગયા. ડોક્ટરોએ તુરંત સારવાર શરૂ કરી પરંતુ તે મૃત્યુ પામ્યો હતો. દર્દીનું મૃત્યુ થયાની જાણ થતા જ તેને લાવનારા શખ્સો ફરાર થઇ ગયા. મૃતદેહ લાંબા સમય સુધી હોસ્પિટલની બહાર પડ્યો હતો. જ્યારે તેને લેવા કોઇ આવ્યું નહીં તો પોલીસને જાણ કરવામાં આવી અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો.
ડોક્ટર પ્રમોદ કુમાર જૈનના જણાવ્યા પ્રમાણે મૃતકનું નામ વિશાલ ખરે છે જે પરવારીપુર મઉરાનીપુરનો રહેવાસી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે મૃતકને હ્યદયરોગનો હુમલો આવ્યો હોવાથી મૃત્યુ થયું છે. મૃત્યુ બાદ તેને હોસ્પિટલ લાવનારા અહીંથી ભાગી ગયા અને ફરી તેઓ દેખાય જ નહીં.