સતના: મધ્ય પ્રદેશ રાજ્યના સતનામાં એક તલાટીનું ધાબા પરથી પડી જવાથી મોત થયું ગતું. જોકે આ ઘટનામાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. આ ઘટના પાછળ આડાસંબંધો જવાબદાર છે. તલાટી અન્ય કોઈ મહિલાના પ્રેમમાં પડ્યો હતો, જેની પત્નીને જાણ થઈ હતી. પતિથી નારાજ રહેલી પત્નીને પણ 8 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થઈ ગયો. જે પછી તેણે પ્રેમીની મદદથી પતિની હત્યા કરવાનું કાવતરું રચ્યું. જોકે પત્ની પતિના મોતને અકસ્માત બનાવી દુઃખી હોવાનું નાટક કરતી રહી. પરંતુ પોલીસની તપાસમાં તેની પોલ ખૂલી ગઈ.
એસપીની હાજરીમાં ઘટનાનું રિક્રિએશન કરવામાં આવ્યું. તપાસમાં સામે આવ્યું કે, ધાબા પરથી ફેંક્યા બાદ તલાટી પર પથ્થર પણ ફેંકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તલાટી સંદીપ સિંહ સંતોષી બિહાર કોલોનીમાં 2 માળના મકાનમાં બીજા માળે ભાડા પર રહેતો હતો. આરોપી પત્ની પ્રિયંકા 2 દીકરીઓની માતા છે. મૃતક સગૌનીમાં તલાટી હતો. આ ઘટના 1 જૂનની છે.
પોલીસને આ ઘટનામાં પ્રારંભથી શંકા હતી. જેના કારણે એસપી રિયાઝ ઈકબાલ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે ઘટનાનું રિક્રિએશન કરાવ્યું. તપાસમાં તલાટીના આડાસંબંધોની કહાણી સામે આવી. તે મહિલા તલાટીના ઘરે ઘણી વાર આવતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા. તલાટી પત્નીને માર પણ મારતો. આરોપી મહિલાએ કહ્યું કે, ઘણીવાર તેનો પતિ પોતાના જ ઘરમાં મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યો હતો. વિરોધ કરવા પર બંને તેને મારી નાખવાની ધમકી આપતા હતા. મૃતકે છૂટાછેડા માટે અરજી કરી હતી. પ્રિયંકા છૂટાછેડા માટે 20 લાખ રૂપિયા માગી રહી હતી.
આરોપી મહિલાએ જણાવ્યું કે, સંદીપે પોતાની પ્રેમિકા સાથે મળી તેની હત્યાની યોજના બનાવી હતી. પરંતુ તેની તેને જાણ થઈ જતા તેણે પોતાના પ્રેમી અનૂપ અને તેના મિત્ર સનીની મદદથી સંદીપની હત્યા કરી. તલાટીને બે દીકરીઓ છે, જે બોનાન્ઝા સ્કૂલમાં ભણે છે. જ્યારે બાળકીઓને સ્કૂલ મૂકવા જતી ત્યારે તેની મુલાકાત અનૂપ સાથે થઈ હતી. પતિના ત્રાસથી કંટાળીને તે અનુપના પ્રેમમાં પડી હતી.
હત્યાની રાતે 30 મેના 11 વાગે સંદીપ જમ્યા પછી મોબાઈલ પર વાત કરતા સમયે ધાબા પર ચાલી રહ્યો હતો. આ સમયે અનૂપ (21) અને તેનો મિત્ર સની (20) ઘરમાં ઘુસી આવ્યા. પ્રિયંકા તેમને ધાબા પર લઈ ગઈ. સંદીપે તેમને જોઈ લીધા અને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંનેએ તેને પકડી ધાબા પરથી નીચે ફેંકી દીધો. જે પછી બંને નીચે ગયા અને સંદીપના માથા પર પથ્થર માર્યો. પ્લાન અનુસાર, પ્રિયંકા મકાન માલિક સાથે મળી સંદીપને શોધવા નીકળી અને કહ્યું કે- તેનો પતિ સંદીપ ગુમ છે.
પંજાબની બે શોકિંગ ક્રાઈમ સ્ટોરી
અન્ય એક ઘટના પટિયાલાની છે. પત્નીથી નારાજ પતિએ 8 મહિનાની ગર્ભવતી પત્નીની હત્યા કરી હતી. આરોપી ગંગા કુમાર પત્ની સરોજ સાથે રાજપુરમાં પંજાબી એન્ક્લેવમાં રહેતો હતો. આ ઘટના મંગળવાર (9 જૂન)ની છે. મહિલા અને તેના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક સરોજના ભાઈ સૂરજે જણાવ્યું કે, તેની બહેનની સારવાર ચાલી રહી હતી. મંગળવારે તે પિયરમાં દવા લેવા આવી હતી. બનેવી તેની બહેનની સારવાર માટે પૈસા આપતો નહોતો.
બીજી ઘટના જાલંધરની છે. અહીં શાહકોટના સોહલ જાગીર ગામમાં સોમવાર રાતે 10 વાગે એક માતાએ 6 વર્ષના દીકરાની હત્યા કરી. જેની પાછળ પારિવારિક ઝઘડો જવાબદાર મનાય છે. બાળકના દાદા અવતારસિંહે પોલીસને કહ્યું કે- તેમની પત્ની ચરણજીત કોર અને પુત્રવધૂ કુલવિંદર વચ્ચે ઝઘડો થયો હતો. જે પછી પુત્રવધૂ પોતાના રૂમમાં ગઈ અને પોતાના દીકરાની જ હત્યા કરી નાખી. જે પછી તે આત્મહત્યા કરવા છત પરથી કુદી ગઈ. તેને ગંભીર સ્થિતિમાં જાલંધરના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. કુલવિંદરનો પતિ ઈટાલીમાં છે. આરોપીને પણ ઈટાલી જવું હતું, પરંતુ લૉકડાઉનના કારણે તે ત્યાં ના જઈ શકી.