ઉત્તર પ્રદેશના બિજનૌરમાં રામલીલા દરમિયાન એક કલાકારનું મોત થયું હતું. તે રાજા દશરથનો રોલ પ્લે કરતો હતો. સંવાદ બોલતા સમયે તે અચાનક સ્ટેજ પર પડી ગયો હતો. રામલીલા જોતા દર્શકોને લાગ્યું કે તે અભિનય કરે છે અને તાળીઓ વગાડવા લાગ્યા હતા, જ્યારે તેમને જાણ થઈ કે કલાકારનું મોત થયું છે તો તમામ લોકો ગમગીન થઈ ગયા હતા.
આ ઘટના હસનપુર ગામની છે. આ અહીંયા નવરાત્રિની સાતમથી દશેરા સુધી રામલીલા થઈ હતી. પૂર્વ પ્રધાન રાજેન્દ્ર સિંહે રાજા દશરથનું પાત્ર ભજવતા હતા. સ્ટેજ પર પિતાની આજ્ઞાથી રામ, સીતા તથા લક્ષ્મણ વનવાસ જાય છે. દશરથ બનેલા રાજેન્દ્રે મહામંત્રી સુમંતને જંગલ મોકલીને તેમને પરત લાવવાનું કહે છે.
રાજેન્દ્ર છેલ્લાં 20 વર્ષથી દશરથનું પાત્ર ભજવે છે. તેમની એક્ટિંગ એવી હતી કે દરેક તેમને દશરથ સમજવા લાગ્યા હતા. એક્ટિંગ દરમિયાન તેઓ પડી ગયા તો કોઈને વિશ્વાસ થયો નહીં. લોકોને એમ જ લાગ્યું કે એક્ટિંગ ચાલે છે. થોડાં સમય સુધી તાળીઓ વાગતી હતી. જોકે, ખાસ્સા સમય સુધી એક્ટર ના ઉઠ્યો તો અન્ય કલાકાર તેની પાસે ગયા હતા. ત્યાં સુધીમાં રાજેન્દ્રનું મોત થઈ ચૂક્યું હતું.
બધા વિચારતા હતા કે એક્ટિંગ કરે છેઃ સુમંતને એકતા જોતાં રાજા દશરથ ભાવુક થઈ જાય છે. શ્રીરામના વિયોગમાં તે રામ-રામની બૂમો પાડે છે. બેવાર રામ બોલીને રાજા દશરથ બનેલા રાજેન્દ્ર સિંહ અચાનક જ મંચ પરથી પડી જાય છે. બધા એમ જ સમજે છે કે તે એક્ટિંગ કરે છે. તેમણે સ્ટેજ પર જ અંતિમ શ્વાસ લીધા હતા.
રામલીલા અટકાવી દેવામાં આવીઃ પડદો પડ્યા બાદ સાથી કલાકારોએ રાજેન્દ્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મોત થયું હતું. આ વાતની જાણ થતાં જ રામલીલા અટકાવી દેવામાં આવી હતી. માનવામાં આવે છે કે હાર્ટ અટેકને કારણે આમ બન્યું છે.
લોકો કહેવા લાગ્યા કે તેમણે આજ સુધી આવા સાચા કલાકારને જોયો નથી, જે એક્ટિંગ કરતાં કરતાં દુનિયામાંથી વિદાય લીધી હોય. તે દેવ તુલ્ય છે. તેમનો અભિનય એટલો જોરદાર હતો કે લોકો ભાવુક થઈ જતા હતા. રાજેન્દ્ર સિંહના પરિવારમાં પત્ની, 3 દીકરા તથા 2 દીકરીઓ છે. નાનો દીકરો બીએસએફમાં હોવાથી તેના આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.