ઇન્દોરઃ મધ્યપ્રદેશના શાઝાપુરમાં પંડિત વિનાના લગ્નએ ખૂબ ચર્ચા જગાવી છે. કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે તેના કારણે મોટાભાગના આયોજનો સ્થગિત કરવામાં આવ્યા છે અથવા તો રદ કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક લોકો કોરોનાના ડર વચ્ચે લગ્ન કરવા મજબૂર છે. આવા જ એક લગ્ન શાઝાપુરમાં યોજાયા હતા. આ લગ્નમાં પરિવારના કેટલાક લોકો જ સામેલ થયા. સૌથી ખાસ વાત એ રહી કે લોકડાઉનના કારણે લગ્ન કરાવવા માટે કોઇ પંડિત મળ્યો નહોતો.
શાઝાપુરના કાછીવાડા ક્ષેત્રમાં રહેનારી ભાવનાના ચંદન સાથે લગ્ન થયા હતા. તેમણે કહ્યુ કે, તેમણે લગ્ન માટે અનેક તૈયારીઓ કરી હતી પરંતુ કોરોનાના કારણએ બધા સ્વપ્ન પર પાણી ફરી વળ્યું હતું. અમે પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરતા લગ્ન કરવાનો નિર્ણય લીધો.
લોકડાઉનની અગાઉ લગ્ન મૂહર્ત નીકળી ચૂક્યું હતુ. કંકોત્રી પણ છપાઇ ચૂકી હતી. પરિણામે બંન્ને પરિવારજનો લગ્નને રોકી શકતા નહોતી. જેથી સરકારી નિયમોનું પાલન કરતા લગ્ન યોજાયા હતા.
જાન પાંચ લોકો સાથે નીકળી હતી. તે પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરતા. જાન કન્યાના ઘરે પહોંચી ત્યારે પરિવારના લોકો જ હતા. લોકડાઉનના કારણે કોઇ પણ પંડિત લગ્ન કરાવવા આવવા માટે રાજી નહોતો જેને કારણે ખૂબ ઓછા રીતિ રિવાજો સાથે લગ્ન સંપન્ન થયા હતા. જોકે, કન્યા અને વરરાજાને એ વાતનું દુખ હતુ કે તેમના લગ્નમાં તેમના સંબંધીઓ અને મિત્રો હાજર રહી શક્યા નહી.