પૈસાની બાબતમાં મુકેશ અંબાણી આજેય પિતાની આ એક સલાહ માને છે, તમારા માટે પણ ખાસ લાભદાયી
મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના માત્ર દેશના પરંતુ વિશ્વના સૌથી ધનિક કપલમાં સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણી વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યક્તિ છે. દર મિનિટે લાખો કમાતા મુકેશ અંબાણી અને તેમની પત્ની માટે પૈસા કેટલું મહત્ત્વ ધરાવે છે તેનો જવાબ તેમણે આપ્યો હતો.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન મુકેશ અંબાણીને પૈસાનું મહત્ત્વ તેમની નજરે કેટલું છે તે અંગે સવાલ થતા તેમણે જણાવ્યું કે, ‘વાસ્તવમાં મારી માટે પૈસાનું જરાય મહત્ત્વ નથી. મારા પિતા કહેતા કે જો તમે કોઈ ધંધો પૈસા માટે શરૂ કરતા હોવ તો તમે મૂર્ખ છો. કારણ કે તમે ત્યારે કંઈજ સારુ કરી શકશો નહીં અને પૈસા કમાઈ શકશો નહીં.’
મુકેશ અંબાણી અનુસાર, તેમના પિતા કહેતા કે બિઝનેસ કોઈ હેતુથી શરૂ કરવો જોઈએ. એવું કંઈ કરવા અંગે વિચારો જે અગાઉ કોઈએ ના કર્યું હોય. જો તમે આ નિયમને અનુસરો તો પૈસો એક બાય-પ્રોડક્ટની જેમ આવે છે. પરંતુ આ બાય-પ્રોડક્ટ ક્યારેય ધંધા કરતા વધુ મહત્ત્વપૂર્ણ નથી હોતી.
મુકેશ અંબાણીની જેમ નીતા અંબાણીને એક ઈન્ટરવ્યૂમાં સવાલ કરાયો હતો કે, તેમની માટે પૈસો અને પાવર કેટલા મહત્ત્વપૂર્ણ છે? નીતા અંબાણીએ આ અંગે જવાબ આપતા કહ્યું હતું કે,‘મારા મતે પૈસાના કારણે પાવર સાથે આવે છે, પરંતુ આ બંને વસ્તુ એક સાથે ચાલી શકતી નથી. મારી તાકાત એક જવાબદારી છે જે મે પોતાના પરિવાર પાસેથી શીખી છે.’