ભરતપુરઃ કોરોના મહામારીના સંકટના સમયમાં દેશના મોટાભાગના લોકો મદદ માટે આગળ આવી રહ્યાં છે. જેનાથી જે બની શકે તેટલી મદદ કરી રહ્યાં છે. આ કડીમાં રાજસ્થાનના ભરતપુરના પૂર્વ રાજપરિવારની સભ્ય દિવ્યા કુમારીએ પણ એવી જાહેરાત કરી છે કે તે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે ભરતપુર સ્થિત પોતાના મોતી મહેલના એક મોટા ભાગને અસ્થાઇ ક્વોરન્ટીનમાં બદલવા માટે ક્લેક્ટરને પત્ર લખ્યો છે.
દિવ્યા કુમારી રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્ર સિંહના પત્ની છે. તેમણે ભરતપુરના ક્લેક્ટર નથકલ ડિડેલને અપીલ કરી કે આ રાજપરિવારનો સંબંધ પોતાની જનતા સાથે 15 પેઢી જૂનો છે. આ સંકટના સમયમાં તેનો પરિવાર લોકોની સાથે છે.
પૂર્વ સાંસદ દિવ્યા કુમારીએ ક્લેક્ટરને પત્ર લખી કહ્યું કે મોતી મહેલનો ઘણો ભાગ ખાલી પડ્યો છે. પ્રશાસનને જરૂર પડે તેટલો અસ્થાઇ ક્વોરન્ટીનના ઉપયોગ માટે લઇ શકે છે. આ મહેલ વસ્તીથી દૂર પણ છે.
વધુમાં દિવ્યા કુમારીએ જણાવ્યું કે આવુ કરવામાં કોઇ રાજનીતિ નથી. આજના આ સંકટના સમયમાં તમામ લોકોની ફરજ બને છે કે લોકો આગળ આવે અને જે લોકો પાસે ફાર્મ હાઉસ અથવા અન્ય જગ્યા છે, તેને ક્વોરન્ટીનમાં આપવી જોઇએ.
રાજસ્થાનમાં મંગળવાર 21 તારીખ સુધીમાં કુલ 60 હજાર 534 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 1596 પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. હજુ પણ કાર્યવાહી ચાલુ છે, જેમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ શકે છે.