નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના વધતા સંક્રમણને કારણે હાલનાં દિવસોમાં લોકડાઉન 4 ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે માત્ર સામાન્ય લોકો જ નહીં બોલીવુડના સેલેબ્સ પણ બહુજ પરેશાન છે. ખાસ કરીને ફિલ્મો અને સિરીયલોનું શૂટિંગ બંધ થયા પછી નાના-મોટા કામો કર્યા બાદ પોતાનું ગુજરાન ચલાવનારા અભિનેતાઓ પર મોટું સંકટ આવી ગયુ છે. આવી સ્થિતિમાં આયુષ્માન ખુરાના સાથેની ફિલ્મ ‘ડ્રીમગર્લ’ અને સુશાંત સિંહ રાજપૂત સાથેની ‘સોનચિડિયા’માં કામ કરનાર અભિનેતાને ફળો વેચવાની ફરજ પડી છે.
2 મહિનાથી સંપૂર્ણ બેરોજગાર બનેલો અભિનેતા દિવાકર સોલંકીને આજકાલ દિલ્હીમાં શાકભાજીની લારી શરૂ કરી છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિવાકરે દિલ્હીની ગલીઓમાં લારી ફેરવવાનું શરૂ કર્યું છે.
સોલંકી દિવાકરે તાજેતરમાં જ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે લોકડાઉન થવાને કારણે ફિલ્મ્સનું શૂટિંગ અટક્યું છે. જેના કારણે તેમને પરિવાર માટે આ બધું કરવું પડી રહ્યુ છે. દિવાકરના કહેવા પ્રમાણે મારે ઘરનું ભાડું ચૂકવવું પડશે અને મારા પરિવારને ભોજન કરાવવું પડશે. આથી જ હું સાઉથ દિલ્હીની શેરીઓમાં ફળો વેચીને બાળકોનું પેટ ભરી રહ્યો છું.
સોલંકી દિવાકર આગ્રા નજીકના એક નાના શહેરનો રહેવાસી છે. 1995માં તે દિલ્હી શિફ્ટ થયો હતો. આ પછી, તેણે અહીં ફળો વેચવાનું શરૂ કર્યું હતુ. કેટલાક દિવસોની જહેમત બાદ, તેણે થિયેટરો અને ફિલ્મોમાં નાના નાના પાત્રો મેળવવાનું શરૂ કર્યું.
જોકે, કોરોનાવાઈરસના ચેપને કારણે, ફિલ્મ્સનું શૂટિંગ બંધ થઈ ગયું. આવી સ્થિતિમાં દિવાકર માટે ખર્ચો કાઢવો મુશ્કેલ થઈ ગયો હતો. ઘર અને પરિવારનો ખર્ચ ચલાવવા માટે દિવાકરે નક્કી કર્યું કે હવે તે ફરીથી પોતાની જૂની નોકરી એટલે કે શાકભાજીની લારી શરૂ કરશે.
દિવાકરનું કહેવું છે કે સમસ્યા ફક્ત તેમની જ નથી, તે દરેકની છે. આ સમય પણ કોઈ પણ પ્રકારે પસાર કરવાનો છે. ઋષિ કપૂરની આગામી ફિલ્મ ‘શર્માજી નમકીન’માં પણ 38 વર્ષીય દિવાકર એક નાનો રોલ કરવાનો હતો. જોકે, તેનું સ્વપ્ન પરિપૂર્ણ થઈ શક્યું નહી. આ પહેલા તે ફિલ્મ ‘કડવી હવા’માં પણ દેખાઈ ચૂક્યા છે.