નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં કન્સ્ટ્રક્શનમાં છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ અયોધ્યામાં 67 એકર જમીન પર રામ મંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયુ છે. મંદિર નિર્માણ માટે જમીન સમતલ કરવાનું કામ ચાલી રહ્યુ છે.
આ દરમ્યાન અહીંયા પર દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ કળશ અને નક્શીદાર થાંભલાઓનાં અવશેષો મળ્યા છે. રામ જન્મભૂમિ પરિસરમાં 11 મેથી જમીનને સમતલ કરવાનું અને બેરીકેડિંગ હટાવવાનું કામ કરવામાં આવી રહ્યુ છે.
5 ફૂટનું નક્શીદાર શિવલિંગ મળ્યુંઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યુ છેકે, જ્યાં અને જ્યાં ખોદકામ થયું છે ત્યાં મોટી સંખ્યામાં ખંડિત મૂર્તિઓ, પુષ્પકળશ, દેવીઓની કલાકૃતિઓ નીકળી છે. અત્યાર સુધીમાં બ્લેક ટચ સ્ટોનનાં સાત સ્તંભો, છ રેડ્સેન્ડ સ્ટોનના થાંભલા, પાંચ ફૂટનું નકશીકામ કરેલું શિવલિંગ અને મેહરાબનાં પત્થરો મળી આવ્યા છે.
ચંપક રાયે કહ્યું કે ડીએમ એકે ઝાએ આ કામને મંજૂરી આપી દીધી છે. નિર્માણ કાર્ય દરમિયાન, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સલામતી ધોરણોની કાળજી લેવામાં આવી રહી છે. કામ દરમિયાન માસ્ક લગાવવું અને સામાજિક અંતરનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે,પરિસરના દર્શન માર્ગમાં લાગેલાં એંગલ અને બેરીકેડીંગ કાઢવા માટે ત્રણ જેસીબી, એક ક્રેન અને 10 મજૂર તૈનાત કરાયા છે. આ પછી અહીંના મંદિર માટે એક મંચ તૈયાર કરવામાં આવશે.
ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય કહે છે કે તબક્કાવાર રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રસ્ટની આગામી બેઠક અને ભૂમિપૂજનનો નિર્ણય દેશની પરિસ્થિતિ પર નિર્ભર છે.