બેઈજિંગ: ચીનમાં અપરિણીત પુરુષોની વધતી સંખ્યા ચિંતાનો વિષય બની રહી છે. લૈંગિક અસમાનતાના કારણે ચીનની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, જેના કારણે 2050 સુધીમાં 3 કરોડ પુરુષ અપરિણીત રહી જશે. આ સંકટના સમાધાન માટે ચીનના એક પ્રોફેસરે અધિકારીઓને એક વિચિત્ર ક્રાંતિકારી સૂચન આપ્યું છે. તેમણે સરકારને મહિલાઓને 2 કે તેથી વધુ પતિ રાખવાનો અધિકાર આપવાનો સૂચન કર્યું છે.
વધુ પતિથી મળી શકે છે સામાજીક સમસ્યાનો ઉકેલ: ચીની અર્થશાસ્ત્રી યી કાંગ એનજીએ કહ્યું કે, મહિલાઓને અમુક સમય માટે 2 કે તેથી વધુ પતિ રાખવાનો અધિકાર આ સામાજીક સમસ્યાનો ઉકેલ બની શકે છે. તેમના મતે જો આ સૂચનને માની લેવામાં આવે તો દેશમાં વધી રહેલા અપરિણીત લોકોને પત્ની અને જીવનમાં આનંદ મળી શકશે. એનજી ફૂદાન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
તેમણે કહ્યું કે, ‘વધતી હરિફાઈના કારણે આગામી સમયમાં કુંવારા પુરુષો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી મુશ્કેલ બનશે. આધેડ વયના પુરુષોએ લગ્ન કરવા માટે યુવતીનું દિલ જીતવા યુવા પુરુષો સાથે હરિફાઈ કરવાની રહેશે. એ પણ ત્યારે જ્યારે દેશમાં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. જો પુરુષો સ્વભાવિક જૈવિક અને માનસિક જરૂરિયાતોને યોગ્ય રીતે પૂર્ણ નહીં કરી શકે તો તેની ખરાબ અસર તેમની ખુશી પર પડશે.’
દેહવ્યાપારને કાયદાકીય મંજૂરી આપવાની માગઃ ચીની અર્થશાસ્ત્રીએ આ સંકટના સમાધાન માટે 2 સૂચનો આપ્યા છે. પ્રથમ-દેહવ્યાપારને કાયદાકીય મંજૂરી અને બીજુ ચીની મહિલાઓને એકથી વધુ પતિ રાખવાની મંજૂરી મળે. ચીની કાયદા અનુસાર હાલ એક જ લગ્નની મંજૂરી છે. ચીની અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે- તિબ્બતમાં આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે. તેમના જેવા ઘણા લોકો એવા છે જેઓ વિચારે છે કે પત્ની ના હોવા કરતા પત્ની શેર કરી લઈએ એ વધુ સારો વિકલ્પ છે.