મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત દ્વારા આત્મહત્યા કરાયાના 10 દિવસ બાદ વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સુશાંતના આકસ્મિક મોત બાદથી જ લોકો આઘાતમાં હતા. સુશાંત નિધનના 10 દિવસ બાદ જ ટિકટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી છે. માત્ર 16 વર્ષની વયે સિયાએ આ પ્રકારનો નિર્ણય લઈ સૌને ચોંકાવ્યા, તેની આત્મહત્યા પાછળનું કારણ હજુસુધી સામે આવ્યું નથી.
સિયાએ 6 દિવસ અગાઉ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, પંજાબી રેપર બોહેમિયા અને સિંગર જેએસ અટવાલ પોતાના લેટેસ્ટ સોન્ગ રીલિઝ કરી ચૂક્યા છે. સિયાએ આ ગીત પર પણ પર્ફોમ કર્યું હતું. સિયાએ 19 કલાક અગાઉ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ગીત એકવાર ફરી શેર કર્યો છે. સ્પષ્ટ રીતે કોઈને પણ તેની પોસ્ટ પર એવું જરાય લાગતું નહોતું કે સિયા કોઈપણ પ્રકારના તણાવનો સામનો કરી રહી હશે.
એક અહેવાલ અનુસાર સિયાએ આત્મહત્યા અગાઉની રાતે મેનેજર અર્જુન સરીન સાથે કોઈ પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. અર્જુને જણાવ્યું કે, સિયા સ્વસ્થ હતી અને ચિંતિત પણ નહોતી લાગતી અને તેને પણ એ નથી સમજમાં આવતું કે, સિયાએ આટલી નાની વયે આવો નિર્ણય કેમ લીધો. સિયા એક મોટી ટિકટોક સ્ટાર હતી અને તેના ઈન્સ્ટાગ્રામ પર પણ 1.5 લાખથી વધુ ફોલોઅર્સ છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષ બોલિવૂડ અને એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ઘણું નિરાશાજનક સાબિત થયું છે. એપ્રિલ મહિનામાં જ ઈરફાન ખાન અને ઋુષિ કપૂર જેવા સ્ટાર્સે દુનિયાને અલવિદા કહી દીધું, જ્યારે જૂન મહિનામાં યુવા સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી.
હવે સિયાએ પણ આત્મહત્યા કરતા મનોરંજન જગતના લોકો અને તેમના ફેન્સ આઘાતમાં છે.