Only Gujarat

Bollywood

ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપુતે પોતાના ફ્લેટ પર ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મુંબઈ: વધુ એક આઘાતજનક સમાચારથી બોલિવૂડ ધ્રુજી ઉઠ્યું છે. ફેમસ બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ફ્લેટ પર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ અત્યંત દુ:ખદ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ શોકમાં આવી ગઈ છે. કોઈને વિશ્વાસ નથી થતો કે સુશાંતસિંહ રાજપૂતે આવું પગલું ભર્યું છે. વડાપ્રધાન મોદીથી લઈને બોલિવૂડના તમામ લોકોએ પોસ્ટ કરીને સુશાંતને શ્રદ્ધાંજલિ આપી છે. સુશાંતના મામાએ આ મામલામાં ન્યાયિક તપાસની માંગ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુશાંતના ઘરે જઈને તપાસ હાથ ધરી છે. આવતી કાલે સુશાંતસિંહ રાજપુતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બેડરૂમમાં લીલા રંગના કપડાંથી ફાંસીનો ગાળિયો બનાવ્યો
મીડિયા રિપોર્ટ મુજબ સુશાંતસિંહે પોતાના બેડરૂમમાં લીલા રંગના કપડાંથી ફાંસીનો ગાળિયો બનાવ્યો હતો. પોલીસને સુશાંતના ઘરેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. એવી પણ માહિતી મળી છે કે સુશાંતે અડધી રાત્રે છેલ્લો કોલ કોઈ એક એક્ટરને કર્યો હતો, પણ તેણે કોલ ઉપાડ્યો નહોતો, એટલા માટે બંને વચ્ચે વાત થઈ શકી નહોતી.

ચાવી બનાવવાવાળાનો બોલાવ્યો, રૂમ ખોલતાં જ સુશાંત ફંદા પર લટકતો જોવા મળ્યો
સુશાંતે રવિવાર સવારે 10 વાગ્યે જ્યુસ પીને પોતના રૂમમાં પાછો ગયો હતો. ત્યાર પછી તે તેના રૂમમાંથી બહાર નીકળ્યો નહોતો. હાઉસ હેલ્પ અને મિત્રએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ દરવાજો ખૂલ્યો નહોતો, પછી હાઉસ સ્ટાફે લોકલ ચાવી બનાવવાવાળાને બોલાવ્યો હતો, જેની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. દરવાજો ખોલતાં જ સુશાંત ફંદા પર લટકતો જોવા મળ્યો હતો. આ જોઈને નોકરે પોલીસને કોલ કર્યો હતો, જ્યારે મિત્રે 108 પર કોલ કર્યો હતો.

સુશાંતના ડ્યૂપ્લેક્સ ફ્લેટમાં ચાર લોકો રહેતા હતા
સુશાંત મુંબઈના બાંન્દ્રામાં ડ્યૂપ્લેક્સ ફ્લેટમાં રહેતો હતો. જ્યાં નીચે એક મોટો હોલ હતો અને ઉપરના માળે 3 બેડરૂમ હતા. ફ્લેટમાં સુશાંત સાથે 4 બીજા લોકો પણ રહેતા હતા. જેમાં બે કૂક, એક હાઉસ હેલ્પ અને એક આર્ટ ડિઝાઈનર સામેલ છે, જે તેનો મિત્ર હતો. પોલીસના કહેવા મુજબ સુશાંત છેલ્લાં 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો.

ફિલ્મી કરિયર ટ્રેક પર હોવા છતાં કેમ ડિપ્રેશનમાં હતો?
પોલીસના કહેવા મુજબ સુશાંતસિંહ છેલ્લાં 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. હાલ સુશાંત ક્યા કારણોસર ડિપ્રેશનમાં હતો તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. સુશાંતની ફિલ્મ કરિયર યોગ્ય ટ્રેક પર હતી. આવી સ્થિતિમાં કયા તણાવના કારણે ઓછી ઉંમરમાં તેણે આ પગલું ભર્યું તેનું તપાસ ચાલું છે.

ટીવી ઇન્ડસ્ટ્રિઝથી શરૂ કરી હતી કરિયર
સુશાંતસિંહ રાજપૂતે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રિઝથી કરી હતી. તેણે સૌ પહેલાં ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ નામની સીરિયલથી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ સુશાંતે એકતા કપૂરના શો ‘પવિત્ર રિશ્તા’માં માનવનો રોલ કર્યો હતો. પછી તે ફિલ્મોમાં આવ્યો હતો. બોલિવૂડમાં સુશાંતેસિંહે ‘કાઈ પો છે’થી ડેબ્યૂ કર્યું હતું. તેણે ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘એમએસ ધોની’, ‘છિછોરે’, ‘કેદારનાથ’, ‘રાબતા’ અને ‘ડ્રાઈવ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થતા હતા અને તેની ગણના ઉમદા એક્ટરમાં થતી હતી.

ક્રિકેટર ધોનીનું પાત્ર નિભાવી મેળવી હતી ખૂબ પ્રસંશા
‘કાઈ પો છે’માં શાનદાર અભિનય બાદ ‘શુદ્ધ દેશી રોમાન્સ’માં વાણી કપૂર અને પરિણીત ચોપડા સાથે તેની જોડી હટી રહી હતી. જોકે સુશાંતસિંહે ‘એમએસ ધોની’ ફિલ્મમાં ક્રિકેટર ધોનીનું પાત્ર નિભાવી ખૂબ પ્રસંશા મેળવી હતી. આ સુશાંતની કરિયરની પહેલી ફિલ્મ હતી જેણે 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સુશાંતે છેલ્લી ફિલ્મ ‘કેદારનાથ’ કરી હતી, જેમાં તે આરા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. સુશાંતની આગામી ફિલ્મ ‘કિજી ઔર મેની’ હતી, આ ફિલ્મનો થોડોક દિવસ પહેલાં ફર્સ્ટ લૂક રિલીઝ થયો હતો.

માતાની નિકટ હતો સુશાંત, 10 દિવસ પહેલાં જ કરી હતી ઈમોશનલ પોસ્ટ
એક્ટર શાંતસિંહ રાજપુતનો જન્મ બિહારના પટણામાં થયો હતો. 34 વર્ષીય સુશાંતે અત્યાર સુધીમાં 12 ફિલ્મોમાં કામ કર્યું છે. સુશાંત ભણવામાં ખૂબ હોશિયાર હતો. તેણે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગની એન્ટ્રેસ એક્ઝામ વર્ષ ઓલ ઈન્ડિયામાં સાતમો રેન્ક મેળવ્યો હતો. તેણે મેકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં એક્ટિંગ માટે ભણવાનું છોડી દીધું હતું. સુશાંત તેની માતાની ખૂબ નજીક હતો. માતાના 2002માં નિધન પછી સુશાંત ઘણો જ હતાશ થઈ ગયો હતો. 10 દિવસ પહેલાં જ સુશાંતે તેની માતાને લઈને એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. જે પોસ્ટના લખાણ પરથી તે ડિપ્રેશનમાં હોવાનું જણાઈ આવે છે.


ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડ સાથે છ વર્ષ રિલેશન બાદ થયું હતું બ્રેકઅપ
ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’માં માનવના રોલથી સુશાંતસિંહ જાણીતો બન્યો હતો. આ સીરિયલમાં ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ તેની સાથે હતી, જેની સાથે સુશાંતસિંહ રિલેશનમાં રહ્યો હતો. બંને વચ્ચે 6 વર્ષનો સંબંધ બાદમાં અચાનક તૂટી ગયો હતો.

પૂર્વ મેનેજરે થોડા દિવસ પહેલાં જ કરી હતી આત્મહત્યા
આઠ દિવસ પહેલાં જ સુશાંતસિંહ રાજપુતની પૂર્વ મેનેજરે દિશાએ પણ મુંબઈના મલાડ સ્થિત પોતાના ફ્લેટના 12માં માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. આ અંગે દિશાને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ પણ સુશાંતસિંહે કરી હતી.

સુશાંત સિંહ રાજપુત પાસે કુલ કેટલા કરોડની હતી સંપત્તિ? એક મુવીની કેટલી લેતો હતો ફી?

You cannot copy content of this page