નવી દિલ્હીઃ સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનો આવતાની સાથે જ દેશના મોટાભાગના વિસ્તારોમાં પારો ચડવાનું શરૂ થાય છે અને લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે એસી અને કુલર ચલાવવાનું શરૂ કરે છે. પરંતુ આ વખતે કોરોનાવાઈરસ જેવા રોગચાળાને કારણે લોકો એસી અને કુલર ચલાવવાનું ટાળી રહ્યા છે.
હવે, ઘણી જગ્યાએ વધતી ગરમી અને પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યા બાદ સરકારે એસી અને કુલર ચલાવવાને લઈને એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં સામાન્ય લોકો કેવી રીતે કુલર અને એસીનો ઉપયોગ કરી શકે છે તે જણાવવામાં આવ્યુ છે.
કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે લોકોએ 24 થી 30 ડિગ્રી તાપમાનમાં જ એસી ચલાવવું જોઈએ. ઘરોમાં એસીના ઉપયોગ દરમિયાન, ભેજ 40 થી 70 ટકા રાખવાનું સૂચન કરવામાં આવે છે.
કોરોનાના રોગચાળા દરમિયાન, સરકારે લોકોને સલાહ આપી છે કે રૂમના એર કંડિશનર્સની ઠંડી હવાના આવાગમન અને બારી અને દરવાજા દ્વારા બહારની ખુલ્લી હવાની ગતિશીલતાની વ્યવસ્થા રાખવાની સલાહ આપી છે.
ભારત સરકાર તરફથી આ એડવાઈઝરી તમામ સરકારી કચેરીઓ અને કંપનીઓને પણ મોકલવામાં આવી છે. એડવાઇઝરી પેનલે સૂચવ્યું હતું કે, એસી ન ચાલે તો પણ રૂમ વેન્ટિલેટેડ રાખવા જોઈએ.
તો રણ વિસ્તારોમાં કુલરોનો ઉપયોગ કરવાને લઈને સલાહ આપવામાં આવી છે કે ડિઝર્ટ કુલર્સમાં એર ફિલ્ટર હોતા નથી. આ સ્થિતિમાં, ધૂળના પ્રવેશને રોકવામાં અને હવાના સ્વચ્છતાને જાળવવામાં સહાય માટે બહારથી એર ફિલ્ટર્સ લગાવો. કુલર ટાંકીને સ્વચ્છ અને જંતુ રહિત રાખવાની અને પાણીને વારંવાર બદલવાની સલાહ પણ આપવામાં આવી છે.
તો પંખાના ઉપયોગને લઈને સરકારે સુઝાવ આપ્યો છે કે વીજળીનાં પંખાનો ઉપયોગ કરતી વખતે બારીઓને થોડી ખુલ્લી રાખવી જોઈએ. એટલું જ નહી આગળ એડવાઈઝરીમાં કહ્યુ છે કે હવાની અવર-જવર માટે રૂમમાં વેન્ટિલેશનની પણ ઉચિત વ્યવસ્થા હોવી જોઈએ.