જીનિવાઃ કોરોનાવાઈરસ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે એવા કોઈ પુરાવા નથી, જેમાં એવું કહી શકાય કે એકવાર કોરોનાવાઈરસમાંથી સાજા થયા બાદ તે વ્યક્તિને ફરીથી ચેપ લાગશે નહી. ડેઈલી મેલનાં રિપોર્ટ મુજબ WHOએ એવા દેશોને ચેતવણી આપી છે કે જે એન્ટિબોડીઝના ટેસ્ટ પર પૈસા ખર્ચવાની યોજના બનાવી રહ્યા છે. WHOએ જણાવ્યું છે કે કોરોના સંક્રમિત દર્દીઓની ઈમ્યૂનિટીની કોઈ ગેરંટી નથી.
આ પહેલાં ઘણા મેડિકલ એક્સપર્ટ તરફથી કહેવામાં આવતુ હતુ કે એકવાર સંક્રમિત થયા બાદ મોટાભાગે લોકોમાં ઈમ્યુનિટી ડેવલોપ થઈ જશે. જોકે, દક્ષિણ કોરિયામાં 100થી વધારે દર્દીઓને ફરીથી ચેપ લાગ્યો હોવાના અહેવાલ આવ્યા હતા. કોરિયાએ આ મામલા અંગે તપાસનાં આદેશ આપ્યા હતા. જોકે, અમુક મેડિકલ જાણકારોએ કહ્યુ હતુ કે બની શકે કે પહેલીવાર ભૂલથી આવા દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા હશે.
હજી સુધી ઘણા લોકો એવું સમજી રહ્યા હતા કે કોરોના પીડિત થયા બાદ ફરીથી બીમાર પડવાનું જોખમ ઓછું હોય છે. પરંતુ WHOએ કહ્યુ છે કે આ વિચારને લઈને કોઈ નક્કર પુરાવા નથી.
બ્રિટિશ સરકારે ચીન પાસેથી 3 કરોડ 50 લાખ એન્ટિબોડીઝ ટેસ્ટ કીટ ખરીદવાની યોજના બનાવી હતી. તેના દ્વારા એ જાણવાનું હતુ કે કોઈ વ્યક્તિ પહેલાથી કોરોના સંક્રમિત થઈ ચૂક્યો છે કે નહી. પરંતુ જ્યારે ખબર પડી કે ચીની કંપની દ્વારા બનાવવામાં આવેલી કીટ્સ સાચા પરિણામ આપતી નથી ત્યારે હવે સરકાર તેના પૈસા પાછા લેવાના પ્રયાસ કરી રહી છે.
જોકે, હજી પણ ઘણા દેશોની સરકાર મોટા પાયે એન્ટિબોડી પરીક્ષણની યોજના બનાવી રહી છે. જેથી જાણ થઈ શકે કે કયા લોકો કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. આવા લોકોને ફરીથી કામ ઉપર મોકલવાની વાત પણ કરવામાં આવી છે.
પરંતુ WHOનાં ઇમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇક રયાને કહ્યું હતું કે, તેને લઈને સિમિત પુરાવા છે કે કોરોના સામે લડી રહેલાં લોકો ભવિષ્યમાં બીમારીથી ઈમ્યૂન થઈ જશે. તેમણે કહ્યુ કે કોઈ પણ વ્યક્તિને જાણ નથી કે જે લોકોનાં શરીરમાં એન્ટિબોડીઝ છે, તે પૂરી રીતે બીમારીથી સુરક્ષિત છે. સાથે જ ઘણા ટેસ્ટમાં સેન્સિટિવિટી ઈશ્યૂ પણ જોવા મળ્યુ છે. તેમાં ખોટા પરિણામ મળી શકે છે.
ડો.રયાને કહ્યું હતું કે એન્ટિબોડી ટેસ્ટ પર પણ નૈતિકતાનાં સવાલો પણ છે. આપણે તેના પર કાળજીપૂર્વક કામ કરવું પડશે. આપણે એ પણ જોવાનું છે કે એન્ટિબોડી આપણને કેટલો સમય સુરક્ષિત રાખી શકે છે. WHOના અધિકારી ડો. મારિયા વેન કેરખોવે જણાવ્યું હતું કે ઘણા દેશો Serological Testના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છે. પરંતુ એ વાતનાં પુરાવા નથી કે આ ટેસ્ટ જણાવે તે કોઈ વ્યક્તિ કોરોનાથી ઈમ્યૂન થઈ ગયો છે કે નહીં.