જયપુર: અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને જોઈને મોટા ભાગના લોકો અવગણના કરતા હોય છે. જોકે રાજસ્થાનના સંદીપ ગુપ્તા આ મામલે ઈજાગ્રસ્ત લોકો માટે એક મિશાલ બની ગયા છે. સંદીપ કુમાર અત્યાર સુધી રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અનેક લોકોની જિંદગી બચાવી ચૂક્યા છે. તેમને રસ્તામાં કોઈ પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ જોવા મળે તો તેઓ તરત જ પોતાની લક્ઝુરિયસ કાર ફોર્ચ્યુનર (એમ્બ્યુલન્સ)માં નજીકની હોસ્પિટલ સુધી લઈ જાય છે.
સંદીપ ગુપ્તા મૂળ જયપૂરના માલવિયાનગરના રહેવાસી છે. તેમનો પોતાનો બિઝનેસ પણ જયુપરમાં છે. સંદીપ ગુપ્તા અત્યાર સુધી આ લક્ઝુરિયસ કારમાં લગભગ 50થી વધારે લોકોને હોસ્પિટલ લઈ જઈ ચૂક્યા છે. જ્યારે પણ તેઓ અવર-જવર કરતાં હોય ત્યારે કોઈ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દેખાય તો તરત જ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ પહોંચાડે છે.
ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઈ જતી વખતે તેમની કાર ટ્રાફિકવાળા વિસ્તારમાં ફસાય નહીં તે માટે તેમણે પોતાની ગાડી પર સાયરન, લીલી બત્તી, ચાદર અને એમ્બ્યુલન્સ લખેલું બોર્ડ માર્યું છે. જરૂરિયાત પ્રમાણે જ આ વસ્તુનો ઉપયોગ કરે છે. આ માટે તેમણે પ્રશાસન પાસેથી મંજૂરી લઈ રાખી છે.
સંદીપ ગુપ્તાને આ ધર્માદા માટે અનેક રાષ્ટ્રીય અને સામાજિક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. તેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હાથે પણ પુરસ્કાર મળૂ ચૂક્યો છે.
સંદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 20 લોકો એવા હતા કે જે લોકોને સમયસર સારવાર ન મળતી તો તેમનું મોત થઈ જાય એવી સ્થિતીમાં હતાં.