નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના બિઝનેસમેન અમિત કુમરાવત પોતાની પત્ની અને બે બાળકો સાથે ગુમ થઇ ગયા છે. તે ત્રણ દિવસ અગાઉ પોતાની સાળીના લગ્નમાં સામેલ થવા માટે ઘરથી નીકળ્યા હતા પરંતુ પાછા ફરી શક્યા નથી. તેમની કાર એક પુલ પાસે બંધ હાલતમાં મળી હતી. અમિત પોતાની પત્ની સુરભિ અને બે બાળકો સાત વર્ષની પીહૂ અને ચાર મહિનાના સાહિલ સાથે સિવની માલવાથી પાછા પોતાના ઘર મહેશ્વર માટે નીકળ્યા હતા. પરંતુ તે ઘરે પહોંચ્યા નહોતા.
જાણકારોના મતે તેમની અંતિમ વાતચીત પિતા સાથે થઇ હતી. તે દરમિયાન તેઓ હરદા શહેરમાં હતા. બાદમાં અમિતના જીજીએ રાત્રે 11 વાગ્યે ફોન કર્યો હતો પરંતુ કોઇએ ઉઠાવ્યો નહોતો. બાદમાં તેમણે સાસરીમાં ફોન કરીને અમિત વિશે પૂછ્યુ તો તેમને જાણવા મળ્યુ કે તે ઘરે જ પહોચ્યા નથી. બાદમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. બાદમાં મોબાઇલ ટ્રેસ કરવામાં આવ્યો તો લોકેશન હરદા જિલ્લામાં નર્મદા કિનારે મળ્યું હતું.
કારની અંદરથી પતિ, પત્નીના મોબાઇલ અને કપડા મળી આવ્યા હતા. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એસપી સિંહ બઘેલે પરિવારજનોની સામે કાર મિકેનિકની મદદથી ખોલાવી હતી. અંદર ફક્ત અમિત, તેની પત્ની સુરભિ અને બાળકોના કપડા, ચંપલ મળી આવ્યા હતા. સાથે જ પતિ-પત્નીના મોબાઇલ પણ મળી આવ્યા હતા.
અમિત ઓટોમોબાઇલ શોરૂમના માલિક છે. પોલીસ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે. સૂત્રોના મતે અમિત છેલ્લા કેટલાક સમયથી દેવાના કારણે પરેશાન હતો. પોલીસ ઘટનાને અપહરણ, લૂંટ, હત્યા અને આત્મહત્યા સાથે જોડીને પણ તપાસ કરી રહી છે.
અમિતના પિતા મોહનલાલે કહ્યુ કે, 14 ફેબ્રુઆરીના રોજ તેમની અને તેમના બાળકોની વાત થઇ હતી. તે આવતા સમયે હરદામાં મારી દીકરી અને જમાઇના ઘરે ગયા હતા પરંતુ તે ઘરે પાછા ફર્યા નથી તો ક્યાં ચાલ્યા ગયા. તેમની કોઇ દુશ્મની નથી. મનોજે પોલીસે જણાવ્યું કે, તેઓ અમારા ઘરે આવ્યા હતા. તેમણે અહી ચા નાસ્તો કરી આરામ પણ કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે તેઓ ઘરે આવીને ફોન કરશે પરંતુ તેમનો કોઇ ફોન આવ્યો નહી તો મે કોલ કર્યો પરંતુ તેમનો ફોન ઓફ આવતો હતો