સુશાંત સિંહ સુસાઇડ કેસમાં તેની મિત્ર અને અભિનેત્રી રિયા ચક્રવર્તીની ગઈકાલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં 11 કલાક પુછપરછ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રિયાએ નિવેદનમાં અનેક ઘટસ્ફોટ કર્યા છે. તેણે જણાવ્યું કે તે સુશાંત સાથેના સંબંધમાં હતી અને સાથે રહેતી હતી. સુશાંતના કહેવા પર તેણે તેનું ઘર છોડ્યુ હતુ. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2019 માં દિલ બેચારા ફિલ્મ પૂર્ણ કર્યા પછીથી જ સુશાંતમાં ડિપ્રેશનનાં લક્ષણો દેખાવા લાગ્યા હતા. આ દરમિયાન સુશાંતના બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીએ કહ્યું કે તેઓ વર્ચુઅલ ગેમ્સ કંપની સ્થાપવાની તૈયારીમાં હતો.
રિયાએ પોલીસને જણાવ્યું હતું કે, 2019 માં સુશાંતમાં ડિપ્રેશનનાં લક્ષણો દેખાતા તેની સાથે ડોક્ટર પાસે ગઈ હતી.ડોકટરે તેને મેડિસિનનો કોર્સ પૂરો કરીને નિયમિત ક્લિનિકમાં આવવાનું કહ્યું હતુ. રિયાના કહેવા પ્રમાણે સુશાંત કેટલીકવાર દવાઓ લેતો ન હતો. રિયાએ પછીથી પોલીસ સ્ટેશન છોડ્યું ત્યારે કોઈ મીડિયા પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચરાના ડિરેક્ટર મુકેશ છાબરાની પૂછપરછ કરવામાં આવી છે.
સુશાંતનું જૂનું ઘર ભયાનક હતું
સુશાંતનું જૂનું મકાન છોડવાના સવાલ પર રિયાએ કહ્યું કે મને તે ઘર ભયાનક લાગ્યું હતુ. રિયાએ પોલીસને જણાવ્યું કે સુશાંતના પરિવાર સાથે તેને કોઈ સમસ્યા નથી. તેણે એમ પણ કહ્યું કે તેણે સુશાંતના પિતા સાથે એક કે બે વાર વાત કરી હતી. એવું માનવામાં આવે છે કે તેનાં સુશાંત સાથે લગ્ન થવાનાં હતા.
2013માં થઈ હતી સુશાંત સાથે મુલાકાત
2013માં સુશાંત શુદ્ધ દેશી રોમાંસ ફિલ્મ કરી રહ્યો હતો અને રિયા મેરે ડેડ કી મારૂતિ ફિલ્મ કરી રહી હતી. બંને ફિલ્મોના સેટ આસપાસ હતા અને તેઓ પહેલી વાર મળ્યા હતા. ત્યારબાદ પાર્ટીઓમાં એક મીટિંગ થઈ જે સંબંધમાં ફેરવાઈ.
વધારે પરેશાન થતો ત્યારે પૂણેનાં ફાર્મહાઉસ પર જતો હતો
રિયાના કહેવા મુજબ, સુશાંત જ્યારે વધારે પરેશાન થતો ત્યારે પૂણે ખાતેનાં ફાર્મહાઉસ પર જતો હતો. સુશાંતે આત્મહત્યા કેમ કરી? પોલીસ માટે તે રહસ્ય જ રહ્યું કારણ કે અભિનેતાના ઘરેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. સુશાંત હતાશામાં હતો પરંતુ તેનું કારણ શું હતું. તે હજી બહાર આવ્યું નથી.
વર્ચ્યુઅલ ગેમ્સની કંપની બનાવવાની તૈયારી હતી
ગુરુવારે સુશાંતના બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીનું નિવેદન પણ નોંધાયું હતું. તેણે જણાવ્યું કે તે સુશાંત સાથે જુલાઈ 2019 થી 3 ફેબ્રુઆરી, 2020 સુધી કામ કરતી હતી. શ્રુતિએ જણાવ્યું કે સુશાંત ઘણી જુદી જુદી વસ્તુઓ પર કામ કરવાનું સપનું જોતો હતો. તે એક રિયાલિસ્ટિક વર્ચુઅલ ગેમ્સ કંપની બનાવવાની તૈયારી પણ કરી રહ્યો હતો. તે કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને નેશન ઈન્ડિયા ફોર વર્લ્ડ નામની એનજીઓ શરૂ કરવા માંગતો હતો. સોશિયલ પ્રોજેક્ટ જીનીયસીઝ એન્ડ ડ્રોપ આઉટ પર પણ કામ કરી રહ્યો હતો.
સોનુ નિગમે પણ આરોપ લગાવ્યો
સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી નેપોટીઝમ અને જૂથવાદને લઈને ઉદ્યોગમાં નવી ચર્ચા થઈ છે. હવે સોનુ નિગમે એક વીડિયોમાં કહ્યું છે કે, જો મ્યુઝિક ઉદ્યોગમાં જૂથવાદ જલ્દીથી ખતમ નહીં થાય, તો સંભવ છે કે આત્મહત્યાના સમાચાર પણ અહીં સાંભળવા મળે. એટલું જ નહીં સોનુ નિગમે નામ લીધા વગરજ મ્યુઝિક કંપનીઓ અને એક એક્ટર પર નિશાન સાધ્યું છે.