Only Gujarat

Gujarat

સુરતમાં માતાએ 3 વર્ષની પુત્રીને ગળું દબાવીને મારી નાંખી પછી પોતે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરતમાં મોટા વરાછામાંથી પુત્રીની હત્યા અને માતાના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાએ ત્રણ વર્ષની પુત્રીને ગળે ફાંસો આપી મોત આપ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. માતાએ પોતાની અને માસુમ પુત્રીની બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું કારણ હાલ સામે આવી રહ્યું છે. પુત્રીને જન્મજાત કિડનીની બીમારી હતી, જ્યારે માતા છેલ્લા ઘણા વર્ષોથી પિતની બીમારીથી પીડાઈ રહી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં ઉતરાણ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી માતા પુત્રીના મુતદેહને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં સામે આવી માતા પુત્રીની આપઘાતની ઘટના

સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી એક સાથે માતા અને પુત્રીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શિવાન્ત બિલ્ડિંગમાં રહેતા કેયુર કથિરીયા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તેમના ઘરે તેમની પત્ની રીંકલ કેયુર કથીરિયા અને તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથીરિયા સાથે પિતા માતા અને ભાઈ સાથે ઘણા સમયથી રહે છે. ત્યારે આજે શનિવારે બપોર બાદ ઘરે કોઈ ન હતું, ત્યારે રિંકલ કેયુર કથીરિયાએ તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથીરિયાનું ગળું દાબીને હત્યા કરી હતી, બાદમાં પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ઘરે કોઈ ન હતું અને આપઘાતની ઘટના બની

રીંકલ કથીરિયાના ઘરે તેના પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોવાથી ધંધાર્થે બહાર ગયા હતા. દિયર મેડિકલ દુકાન ચલાવતા હોવાથી તેઓ પણ ઘરે ન હતા અને સસરા નોકરી કરતા હોવાથી તે પણ ઘરે હતા નહીં. જ્યારે તેમના સાસુ મંદિરે પૂજા હોવાથી બહાર ગયા હતા. આ દરમિયાન ઘરમાં સાંજના સમયે કોઈ ન હતું. ત્યારે રિંકલ કથીરિયાએ પોતાની ત્રણ વર્ષની દીકરીને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રીંકલની સાસુ પૂજામાંથી ઘરે આવતા વહુ અને પૌત્રીની મૃતદેહ જોતા આઘાતમાં મૂકાઈ ગયા હતા.

બનાવની જાણ પોલીસને થતાં તપાસ શરૂ કરી

મરનાર રીંકલ કથીરિયાના સાસુને આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ તેમને તાત્કાલિક તેમના પુત્ર અને પતિને જાણ કરી હતી. જેને લઇ તેઓ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા. બાદમાં સમગ્ર બનાવવાની જાણ ઉતરાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે માતા અને ત્રણ વર્ષની પુત્રીના મૃતદેહને પીએમ અર્થે મોકલી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.

બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું કારણ

ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, માતા અને પુત્રીએ બીમારીના કારણે કંટાળી આપઘાત કર્યો છે. પોલીસને મળેલ પ્રાથમિક માહિતી મુજબ ત્રણ વર્ષની પુત્રી વિવા કથીરિયા જન્મજાત કિડનીની બીમારીથી પીડાતી હતી. જ્યારે તેની માતા રિંકલ કથીરિયા છેલ્લા ઘણા વર્ષોથી પિતની બીમારીથી પીડાઈ રહી હતી. અનેક ડોક્ટરની દવાઓ કરવા છતાં તેમની બીમારીમાંથી રાહત મળતી ન હતી. સતત ખર્ચ થયા કરતો હતો. જેને લઇ આખરે બીમારીથી કંટાળીને માતાએ પહેલા પુત્રીને હત્યા કરી બાદમાં પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે.

You cannot copy content of this page