દીકરો માતાના દેહને લાકડાની ગાડી પર રાખી 10 કિલોમિટર દૂર સ્મશાને લઈ ગયો, આંખો ભીની કરી દેતો બનાવ
કુદરતની કઠોરતા વચ્ચે માનવતા પણ મરી પરવારી હોય તેવા લાચારીના દર્દનાક દ્રશ્યો અંકલેશ્વર અને ભરૂચ માર્ગ ઉપરથી સામે આવ્યા હતા. ભિક્ષા માંગી પોતાનો અને માતાના પેટનો ખાડો પૂરતા મૂકબધિર પુત્રની માતાનું નિધન થતા લાચાર યુવાને અંકલેશ્વરથી ભરૂચ સુધી જે માતાને હાથ ગાડી ઉપર બેસાડી ભિક્ષા માંગતો હતો તેના ઉપર જ સુવડાવી સ્મશાન માટે કિલોમીટર સુધી નિસહાય અવસ્થામાં અંતિમયાત્રાએ એકલા હાથે જ ઝઝૂમવું પડ્યું હતું.
ગરીબી, લાચારી અને શારીરિક અસક્ષમતામાં પણ એક મૂકબધિર યુવાને માતાના મૃતદેહની અંતિમક્રિયા માટે સ્મશાન સુધી એકલા હાથે ખેડેલી સફરના વીડિયોએ કેટલાયના હૃદય હચમચાવી દીધા છે. જોકે આ મૂકબધિર યુવાન જ્યારે માતાને ભિક્ષા માંગવાની હાથ ગાડી ઉપર સુવાડી હાથ ગાડી ખેંચતો અંકલેશ્વરથી ભરૂચ તરફ એક એક ડગ માંડતો હતો ત્યારે તેની લાચારી અને મૂકબધિરતાને માર્ગ પરથી પસાર થતા અને નજરે જોનાર હજારો માનવો પણ વાચા આપી ન શકતા માત્ર મૂકપ્રેક્ષક જ બની રહ્યાં હતાં.
અંકલેશ્વરના એક મૂકબધિર શ્રમજીવીએ એકલા હાથે જ માતાની અંતિમ યાત્રા કિલોમીટર સુધી કાઢી હતી. મૂકબધિર દીકરાએ પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે માતાના મૃતદેહને જાહેર માર્ગ ઉપર એક રસીના સહારે નાનકડી ગડીવાળી ગાડી ઉપર જાહેર માર્ગ ઉપરથી લઇ આવી કોઈ સ્મશાનમા અંતિમ સંસ્કાર કરવા અર્થે આવતા એક સમયે સ્મશાનમાં રહેલા લોકો પણ ભાવુક બની જતા તેઓની આંખો ભીની થઇ ગઈ હતી.
જન્મજાત મૂકબધિર શ્રમજીવીની માતા રવિવારે મૃત્યુ પામી હતી. માતાનું મૃત્યુ થતા મૂંગા દીકરા માટે માતાના અંતિમ સંસ્કાર કુદરતની કઠોરતા વચ્ચે કસોટી સમાન બની ગયા હતા. કંઈ બોલી ન શકે કે, કોઈ ને કાંઈ કહી પણ ના શકે કેવી રીતે સમજાવે જેવા ઘણા પ્રશ્નો વચ્ચે છેલ્લે એ મૂકબધિર પુત્રએ એકલા હાથે લારી પર માને લઈને ભીખ માંગતો તે જ લારી પર એકલા હાથે લારી ખેંચી નર્મદા નદી નીચે આવેલ સ્મશાન સુધી લઈ જવા નીકળી પડ્યો હતો.
રસ્તે અનેક લોકો મળ્યા પણ એ કોઈ ને કોઈ ના સમજાવી શક્યો આખરે કોઈ રાહદારી દ્વારા સામાજીક કાર્યકર અને સ્મશાનના સંચાલકને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધી ઘણું જ મોડું થઈ ગયું હતું. માતાના શબને હાથ ગાડી ઉપર ખેંચતો ખેંચતો મૂકબધિર પુત્ર અંકલેશ્વરથી ભરૂચ કોવિડ સ્મશાન સમીપ કેટલાક કિલોમીટર કાપી ચૂક્યો હતો.
અંતે બોરભાઠા ગામના યુવાનોની મદદથી માતાનો મૃતદેહ કોવિડ સ્મશાનમાં લવાયો હતો. જયા કોવિડ સ્મશાનના સંચાલકે તાત્કાલિક મૂકબધિર પુત્રની વ્હારે દોડી જઇ લારી અને મૃતદેહને કોવિડ સ્મશાન ખાતે લઈ જઈ મૂંગા પુત્રને સાંત્વના આપી હતી.
હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ રિવાજ મુજબ કફન સામગ્રી મંગાવી મૂંગા પુત્રના હાથે માતાની અગ્નિસંસ્કાર વિધિ કરાવી હતી. મૂકબધિર પુત્ર માતાની ચિતાને અગ્નિદાહ આપી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.