Only Gujarat

FEATURED Gujarat

દેશ-વિદેશ નહીં ફરો તો ચાલશે પણ ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ જરૂર જજો, અહીં 17 સ્થળો છે જોવા જેવા

પ્રધાન મંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે કેવડિયા કોલોનીમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું. જેમાં આરોગ્ય વન અને એકતા મોલને ખુલ્લો મુક્યો. જ્યારે સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક એટલે કે જંગલ સફારીનું લોકાર્પણ કર્યું. પ્રધાન મંત્રીએ એટલા બધા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે કે અહીં પ્રવાસીઓને હરવા-ફરવાનો ખજાનો મળી જશે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી જ્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે કેવડિયા હવે પ્રવાસીઓનું નવું ધામ બની ગયું છે. કારણ કે આ એક સ્થળે તેમને સમગ્ર વિશ્વની ઝલક જોવા મળશે. જો કે આ માટે તમારે ત્રણ હજાર રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડે, તેમાં પણ ખાણીપીણીનો ખર્ચ તો અલગ જ.

દિવાળીના વેકેશનમાં જો તમે બહાર જવાનું વિચારતા હોવ તો કેવડિયાથી ઉત્તમ સ્થળ નહીં મળે. નર્મદા ડેમ પાસે વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાના સ્થળ- કેવડિયામાં પ્રવાસન માટેના વિવિધ પ્રોજેક્ટો પ્રધાન મંત્રી મોદીના હસ્તે શરૂ કરવામાં આવ્યા છે. કુલ 21માંથી હાલ 17 પ્રોજેક્ટને ખુલ્લા મુકાયા છે. જેમાં રિવર રાફ્ટિંગ, એકતા મોલ, જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન અને ક્રૂઝ સહિતના પ્રોજેક્ટ્સ મુખ્ય છે. એટલે કે હવે યાત્રિકોને ગુજરાતમાં જ સમગ્ર વિશ્વની પ્રખ્યાત સ્થળોની ઝલક જોવા મળશે.

જો કે ફરવા આવનારા લોકોમાં સૌથી પહેલો વિચાર ખિસ્સાનો એટલે કે ખર્ચનો આવતો હોય છે. જેને જોતાં એમ આજે આ અહેવાલના માધ્યમથી કેવડિયામાં ફરવા માટે તમારે કેટલો ખર્ચ કરવો પડશે તેમજ કેવા પ્રકારની સુવિધાઓ તમને ઉપલબ્ધ થશે એની વિગત જાણીએ. આમાં એક વ્યક્તિદીઠ અલગ-અલગ પ્રોજેક્ટોની એન્ટ્રી ટિકિટ ત્રણ હજાર રૂપિયાની આસપાસ થાય છે, જ્યારે બાળકોની 2500 રૂપિયાની આસપાસ થાય છે. આ ભાવ માત્ર કેવડિયામાં હરવા-ફરવાનો જ છે. રોકાણ કરો છો તો તેના અને ભોજન-નાસ્તાનો ખર્ચ અલગ થશે.

પહેલા વાત કરીએ અહીં આવેલા વિશ્વ વનની તો અહીં તમામ સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો જોવા મળશે. જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ વનનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે મુલાકાતીઓને કુદરતી જંગલ જ લાગે. હવે વાત કરીએ એકતા નર્સરીની તો તેનો ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ મુલાકાતીઓ અહીંથી પાછા જાય ત્યારે તેઓ આ નર્સરીમાંથી પ્લાન્ટ ઓફ યુનિટી નામે એક છોડ લઈ જાય.

પ્રારંભિક તબક્કે એક લાખ રોપાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેમાંથી ૩૦ હજાર રોપા વેચવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. કેવડિયામાં બાળકો માટેનું આકર્ષણ છે બટરફ્લાય ગાર્ડન. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મુલાકાતીઓ કુદરતની સુંદરતા અને રંગબેરંગી રચનાને જોઈ શકે, માણી શકે, એ માટે ખૂબ જ વિચારપૂર્વક બટરફ્લાય ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. છ એકરમાં ફેલાયેલા આ વિશાળ ઉદ્યાનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં ઉડતા જોવા મળશે.

અહીં તેમને એકતા ઓડિટોરિયમ પણ જોવા મળશે. 1700 ચોરસ મીટરનો બિલ્ટ-અપ એરિયા ધરાવતો એક હોલ બનાવવામાં આવ્યો છે. આ ઑડિટોરિયમમાં સંગીત, નૃત્ય, નાટક, કાર્યશાળા, ફૂડ અને આર્ટ અને સાહિત્ય ઉત્સવ જેવા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.


સાહસિક રમતવીરો માટે રિવર રાફ્ટિંગની સુવિધા વિકસાવવામાં આવી છે. રિવર રાફ્ટિંગ એક એડવેન્ચર ગેમ છે. જે સાહસિક રમતવીરોને અનન્ય ખેલનો અનુભવ કરાવશે. જો તમારે દુનિયાભરના થોર જોવા હશે તો પણ તમને અહીંના કેક્ટસ ગાર્ડનમાં જોવા મળશે.

કેવડિયામાં બનાવવામાં આવેલા ભારત વનના 10 હેક્ટર જેટલા વિસ્તારમાં 5 લાખથી વધારે ફૂલોની પ્રજાતિઓ આકર્ષણ જગાવી રહી છે. હરિયાળીની છાંટ ધરાવતાં વૃક્ષો ભારત વનની શોભામાં વધારો કરી રહ્યા છે. ક્રૂઝમાં બેઠા બેઠા તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી જઈ શકો તે માટે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. સાત કિલોમીટરની ફેરી સર્વિસીઝની મદદથી પ્રવાસીઓ સ્મારક સુધી સરળ, સુગમ રીતે પહોંચી શકશે. જો તમારે દુનિયાભરના પ્રાણીઓને નિહાળવા હોય તો જંગલ સફારી તમારું સ્થળ બની રહેશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારી તૈયાર કરાયું છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળશે. અહીં આવશો તો શોપિંગ કરવાનું પણ તમને મન થશે. આ માટે ઉત્તમ જગ્યા છે એકતા મોલ. આ મોલમાં મુલાકાતીને હસ્તકળા અને ભારતમાં આવેલાં વિવિધ રાજ્યોના પરંપરાગત વસ્ત્રો એક જ જગ્યાએ મળી રહેશે. આધુનિકતાની સાથે જ જૂની પરંપરાગત ભારતીય હસ્તકળાના સમન્વયને ધ્યાનમાં રાખીને આ મોલનું નિર્માણ કરાયું છે.

You cannot copy content of this page