નવી દિલ્હીઃ જો આપણે સફળ થવું હશે તો ખૂબ મહેનત અને લગનની જરૂર પડે છે. જો તમે તેમાં સફળ થશો ત્યારે જ એક સ્તર પર પહોંચો છો. પરંતુ મંજિલ સુધી પહોંચતા આપણી જવાબદારી પણ વધી જાય છે. લોકો આપણી પાસે અપેક્ષાઓ વધુ રાખવા માંડે છે. પરંતુ વારંવાર જોવામાં આવે છે કે લોકો એક પદ પર પહોંચ્યા બાદ પોતાની જવાબદારીઓને ભૂલવા માંડે છે. તે પોતાના પદ અને પ્રતિષ્ઠામાં મશગૂલ થઇ જાય છે. અહી એક એવી મહિલા આઇએએસ અધિકારીની વાત કરવામાં આવી છે જે પોતાની જવાબદારી અને ફરજો પુરી રીતે નિભાવી રહી છે. આ કારણ છે કે આજે આ મહિલા આઇએએસની મુખ્યમંત્રીથી લઇને વડાપ્રધાન પ્રશંસા કરી ચૂક્યા છે.
આ મહિલા અધિકારીનું નામ છે કંચન વર્મા. કંચન 2005 બેન્ચની આઇએએસ અધિકારી છે. તેની ઓળખ ઉત્તર પ્રદેશમાં એક પ્રમાણિક અને મહેનતું અધિકારી તરીકે થાય છે. લોકો તેમની ઇમાનદારી અને કાર્યશૈલીથી પ્રભાવિત છે.
કંચન ઉત્તર પ્રદેશના ભદોહી, ફતેહપુર, મિર્ઝાપુર સહિત અનેક જિલ્લામાં જિલ્લાધિકારીના પદ પર રહી ચૂકી છે. કંચન સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવી જ્યારે વર્ષ 2012માં તેમને ફતેહપુરના ડીએમ બનાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે લગભગ લુપ્ત થઇ ચૂકેલી સસુર ખેડરી નદી અને ઠીઠોલા તળાવને એક નવું જીવન આપ્યું હતું. તેમણે 23 કરોડની યોજના તૈયાર કરી તેને પાસ કરાવી હતી. આ નદીને પુન;જીવિત કરી સાથે સાથે મનરેગા યોજના હેઠળ સ્થાનિક મજૂરોને કામ પણ અપાવ્યુ હતું.
સાત હેક્ટરમાં ફેલાયેલી આ નદી સૂકાઇ ગઇ હતી અને લોકો તેના પર ખેતી પણ કરવા લાગ્યા હતા. પણ કંચને અહી 38 કિલોમીટર સુધી ખોદકામ કરાવ્યું. પરિણામે નદી અગાઉની જેમ ફરીથી વહેવવા લાગી હતી.
જ્યારે તેમને મિર્ઝાપુરના ડીએમ બનાવવામાં આવ્યા ત્યારે શિક્ષણ વ્યવસ્થાની હાલત ખરાબ હતી. જેના કારણે તે જાતે જ સ્કૂલમાં પહોંચી જતા હતા. તે સ્કૂલ-કોલેજનું નીરિક્ષણ કરતા હતા અને શિક્ષિકા બનીને ગણિત અને અંગ્રેજી ભણાવતા પણ હતા. નીરિક્ષણ દરમિયાન તેણે સાડા ત્રણસોથી વધુ શિક્ષકો વિરુદ્ધ એડવાઇઝરી જાહેર કરી હતી. કંચને હંમેશા પોતાના વિભાગની જવાબદારીથી વધુ જનજાગરૂકતા માટે કામ કર્યુ છે.
તેમના આ કામના પરિણામે ડઝનેક ગામને ખુલ્લામાં શૌચ મુક્ત કરાવ્યા હતા. તેમણે ઇંટભટ્ટા પર શૌચાલય બનાવ્યા બાદ પણ તેને એનઓસી આપવાની જોગવાઇ કરી જેનાથી સ્વચ્છતા અભિયાનને બળ મળ્યું.
તેમના કામથી પ્રભાવિત થઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાજિયાબાદ વિકાસ ઓથોરિટીના વીસી બનાવ્યા હતા. તેમને વર્ષ 2016માં કોમનવેલ્થ અસોસિયેશન એન્ડ મેનેજમેન્ટ ઇન્ટરનેશનલ ઇનોવેશન્સ એવોર્ડ અપાયો હતો.
સિવિલ સર્વિસ ડેના અવસર પર તેમને વડાપ્રધાન મોદીએ પુરસ્કાર આપ્યો હતો. તે સિવાય વડાપ્રધાન મોદીના ઇમાનદાર આઇએએસ અધિકારીઓના લિસ્ટમાં કંચનનું નામ પણ સામેલ છે.