મુંબઈઃ વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધી લાખો કેસ સામે આવ્યા છે અને હજારોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં સતત વધી રહ્યા છે. મુબંઈમાં પણ કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એવામાં એક્ટર સોનૂ સૂદે મુંબઈમાં તેની જૂહુ સ્થિત હોટેલમાં ડૉક્ટર્સ, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સહિતના સ્વાસ્થ્યકર્મીઓ માટે રોકાણની વ્યવસ્થા કરી છે.
મેડિકલ સ્ટાફ વિશે સોનૂનું માનવું છે કે, દરેક દેશવાસીઓએ મેડિકલ સ્ટાફ સાથે દૃઢતાથી ઊભું રહેવું મહત્તવપૂર્ણ છે કેમકે, તેઓ ફ્રન્ટફ્રુટ પર કોરોના સામે લડી રહ્યા છે અને દેશને બચાવવા માટે તે બહાદુરીથી પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે.
સોનૂ સૂદે તેના ઓફિશિયલ નિવેદનમાં કહ્યું કે, ડૉક્ટર્સ, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફ લાખો લોકોની જિંદગી બચાવવા દિવસ-રાત કામ કરે છે. આપણાં દેશના ડૉક્ટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફ માટે થોડી ઘણી મદદ કરવી મારા માટે ગર્વની વાત છે. હું આ સાચા રાષ્ટ્રરક્ષકો માટે મારી હોટેલના દરવાજા ખોલી ખૂબ જ ખુશ છું
સોનૂ સૂદનું માનવું છે કે, એક સમાજ તરીકે આપણે સામૂહિક રીતે કોરોના વિરુદ્ધ લડાઈ જીતી શકીએ છીએ. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને ઘરે રહેવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરવાની સલાહ આપી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલનું કહેવું છે કે, દેશમાં કેટલાંક વિસ્તારમાં કોરોના સંક્રમણ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું છે. તેમનો સ્પષ્ટ ઇશારો મુંબઈ પર છે.કેમ કે, દેશમાં મુંબઈ જ એક માત્ર મોટું હૉટસ્પોટ છે, જ્યાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મોત પણ સૌથી વધુ થઈ રહ્યા છે. ધારાવી ઉપરાંત હવે કોરોનાનું સંક્રમણ બાંદ્રા ટર્મિનસથી બેહરામપાડા અને કુર્લાના જરીમરી સહિતના સ્લમ વિસ્તારમાં ફેલાઈ ચૂક્યું છે.