ચેન્નઈઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન શાળા, કોલેજ, થિયેટર અને એ બધી જ જગ્યાઓ જ્યાં લોકો ભેગા થાય છે, તેમને બંધ કરી દેવામાં આવી છે. લોકડાઉનમાં સરકારે માત્ર રોજિંદી જરૂરિયાતો વસ્તુઓ પૂરી પાડતી જગ્યાઓને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. સાથે-સાથે દવાની દુકાનો પણ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી લોકોને ખાવા-પીવાનો સામાન અને દવાઓ મેળવવામાં તકલીફ ન પડે. જોકે, આ દરમિયાન એક એવા સમાચાર મળ્યા છે કે, સાઉથ એક્ટ્રેસ મનોરમાના દીકરા ભૂપતિએ દારૂ ન મળવાના કારણે ઊંઘની ગોળીઓ ખાઇ લીધી છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સાઉથની દિવંગત એક્ટ્રેસ મનોરમાના દીકરાએ એ સમયે ઊંઘની ગોળીઓ ખાઇ લીધી, જ્યારે તેને લોકડાઉનના કારણે ક્યાંય દારૂ ના મળ્યો. વધારે પ્રમાણમાં ગોળીઓ ખાઇ લેવાના કારણે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસના દીકરાને દારૂની લત છે, આ જ કારણે છેલ્લા થોડા સમયથી તે ડિપ્રેશનમાં હતો. બધી જ જગ્યાએ દુકાનો બંધ હોવાથી તેણે ગોળીઓ ખાઇ લીધી.
રિપોર્ટ્સ અનુસાર, ડિપ્રેશનના કારણે ભૂપતિએ ગોળીઓનો ઓવરડોઝ લઈ લીધો. તેના પરિવારને તેની ખબર પડતાં તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ભૂપતિની તબિયત અત્યારે પહેલાં કરતાં ઠીક છે. ચેન્નઈની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અત્યારે તેનો ઇલાજ ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ મનોરમા ખૂબજ ફેમસ હતી અને તેણે તેના એક્ટિંગ કરિયરમાં 1500 કરતાં વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. સાથે-સાથે તે 5000 સ્ટેજ પર્ફોર્મન્સ આપી ચૂકી છે.
ફિલ્મો અને સ્ટેજ શોની સાથે-સાથે મનોરમા ઘણા ટીવી શોઝમાં પણ કામ કરી ચૂકી છે. મનોરમા સાઉથના દરેક મોટા સ્ટાર સાથે કામ કરી ચૂકી છે. 10 ઓક્ટોબર 2015 એ ચેન્નઈમાં તેમનું નિધન થયું.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં હવે કોરોનાના 5734 કેસ આવી ચૂક્યા છે. જેમાંથી 402 લોકો હોસ્પિટલમાંથી ઠીક થઈને ઘરે પણ જતા રહ્યા છે અને 149 લોકોનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે.