મુંબઈઃ બોલિવૂડની એકમાત્ર ફિલ્મ ‘સૂર્યવંશમ’માં કામ કરનારી સૌંદર્યાની 17 એપ્રિલના રોજ 16મી પૂણ્યતિથિ હતી. સૌંદર્યાનું સાચું નામ સૌમ્યા સત્યનારાયણ હતું. તેમનો જન્મ 18 જુલાઇ 1972માં કર્ણાટકના કોલારમાં ઇન્ટસ્ટ્રીયલિસ્ટ અને કન્નડ ફિલ્મોના રાઇટર કે.એસ. નારાયણને ત્યાં થયો હતો. સૌંદર્યા 31 વર્ષની ઉંમરે પ્રેગ્નન્ટ હતાં તે સમયે 17 એપ્રિલ 2004માં પ્લેન ક્રેશમાં તેમનું મોત થયું હતું. સૌંદર્યાના પરિવારને તેમની ડેડ બોડી પણ મળી નહોતી.
ફિલ્મ ‘સૂર્યવંશમ’ રિલીઝ સમયે ભલે ફ્લોપ હતી, પણ આજે તે સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે, દર ત્રીજા-ચોથા દિવસે ખાનગી ચેનલ ‘સૂર્યવંશમ’ ફિલ્મ બતાવે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ઓપોઝિટ સાઉથ ફિલ્મની એક્ટ્રસ સૌંદર્યા રઘુ જોવાં મળી હતી અને ફિલ્મ રિલીઝના પાંચ વર્ષ પછી સૌંદર્યાનું મોત થયું હતું.
17 એપ્રિલ, 2004એ સૌંદર્યા ભારતીય જનતા પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીના ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે કરીમનગર જઈ રહી હતી. સવારે 11.05 વાગે ફોર સીટર પ્રાઇવેટ એરક્રાફ્ટે બેંગલુરથી જક્કુર એરફિલ્ડથી ઉડાનભરી અને લગભગ 100 ફૂટ ઉપર ગયા બાદ તે ક્રેશ થઈ ગયું. એરક્રાફ્ટમાં સૌંદર્યા ઉપરાંત, તેમના ભાઈ અમરનાથ, હિંદુ જાગરણ સમિતિના સેક્રેટરી રમેશ કદમ અને પાયલટ જૉય ફિલિપ હાજર હતાં. આ ચારેયનું સાથે મોત થયું હતું.
મોતનાં લગભગ એક વર્ષ પહેલાં સૌંદર્યાએ 2003માં સોફ્ટવેર એન્જિનીયર જીએસ. રઘુ સાથે લગ્ન કર્યા હતાં. રિપોર્ટ્સ મુજબ, 2010માં જી.એસ. રઘુએ અર્પિતા નામની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા છે.
1998માં એક ઇન્ટર્વ્યૂમાં સૌંદર્યાએ કહ્યું હતું, ફિલ્મો મારા મગજમાં છેલ્લો વિચાર હતી. મારા પિતા ફિલ્મમેકર હતા અને હું તેમની સાથે અનેકવાર સેટ્સ પર જતી હતી. હું એમબીએ પૂરું કરી બિઝનેસ લાઇનમાં જવા ઇચ્છતી હતી. પણ, જ્યારે મારા પિતાના મિત્રએ મને ઇન્ટરેસ્ટિંગ રોલ માટે કહ્યું તો, મેં એક્ટિંગ કરવાનો નિર્ણય કર્યો.
સૌંદર્યાએ કહ્યું હતું કે, જ્યારે તે ફિલ્મોમાં આવી ત્યારે પ્રોડ્યૂસર્સ સામે તેમની પહેલી કન્ડિશન હતી કે તે એક્સપોઝ નહીં કરે. 1992માં કન્નડ ફિલ્મ ‘ગંધર્વ’થી સૌંદર્યાએ મોટાં પડદે ડેબ્યું કર્યું. તે જ વર્ષે તેમણે તેલુગુ ભાષાની ફિલ્મ ‘રઇથુ ભરથમ્’ પણ કરી હતી. 12 વર્ષના ફિલ્મી કરિયરમાં સૌંદર્યાએ 114 ફિલ્મોમાં કામ કર્યું હતું. મોત પછી ઓગસ્ટ 2004માં તેમની કન્નડમાં બનેલી છેલ્લી ફિલ્મ ‘અપ્થામિત્રા’ રિલીઝ થઈ હતી.
સૌંદર્યાએ તેમના કરિયરમાં હિંદીમાં માત્ર એક ફિલ્મ ‘સૂર્યવંશમ’ કરી હતી. ડાયરેક્ટર ઇવીવી સત્યનારાયણની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો ડબલ રોલ હતો. સાઉથ સિનેમા સ્ટાર્સની વાત કરીએ તો સૌંદર્યાએ રજનીકાંત સાથે ‘અરુણાચલમ’, ‘પદયપ્પા’, વેંકટેશ સાથે ‘રાજા’, ‘પવિત્ર બંધન’ અને ચિંરજીવી સાથે ‘ચૂડાલાની વૂંડી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
2004માં મોત પછી રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ ‘અપ્થામિત્રા’ માટે સૌંદર્યાને ફિલ્મફેર (સાઉથ)નો બેસ્ટ એક્ટ્રસનો એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સૌંદર્યા આ પહેલાં પાંચ વાર આ એવોર્ડ તેના નામે કરી ચૂકી હતી. 1998માં એક ઇન્ટરવ્યૂમાં સૌંદર્યાએ કહ્યું હતું કે, ‘સૂર્યવંશમ’ પહેલાં તેમણે ઘણી બોલિવૂડ ફિલ્મોની ઓફર મળી હતી. પણ, સ્ક્રીપ્ટ પસંદ ના આવતાં મેં તે રિજેક્ટ કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ‘સૂર્યવંશમ’માં મને મારો રોલ ખૂબ જ પસંદ હતો અને મેં તરત જ હા કહી દીધી હતી.
આ દરમિયાન સૌંદર્યાએ વધુમાં જણાવ્યું કે, તે અમિતાભ બચ્ચનની ખૂબ જ મોટી ફેન હતી. તેમને અમિતાભ બચ્ચનની ફિલ્મો જોવી પસંદ હતી અને ‘અભિમાન’ તેમની ફેવરીટ ફિલ્મ છે. હું ‘સૂર્યવંશમ’ ફિલ્મના શૂટિંગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. કેમ કે, મને વિશ્વાસ હતો કે અમિતાભ બચ્ચનને પર્ફોર્મ કરતાં જોઈ ઘણું બધું શીખવા મળશે.