સુશાંતને નથી ભૂલાવી શકતી પૂર્વ પ્રેમિકા અંકિતા, રડી રડીને હાલ થયા બેહાલ! મિત્રનો ચોંકાવનારો ખુલાસો
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે આઘાતમાં છે. એક્ટ્રેસ હજુસુધી સુશાંતના મોતના આઘાતમાંથી બહાર આવી શકી નથી અને વારંવાર રડી-રડીને પોતાના હાલ બેહાલ કરી નાંખ્યા છે. તાજેતરમાં સુશાંત અને અંકિતાના નિકટના મિત્ર સંદીપ સિંહે આ વાતનો ખુલાસો કર્યો હતો કે કઈ રીતે અંકિતા સુશાંતનું ધ્યાન રાખતી હતી. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે તાજેતરમાં પોતાના મુંબઈ ખાતેના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેના આ નિર્ણયથી ના માત્ર અંકિતા પરંતુ સમગ્ર બોલિવૂડ અને એક્ટરના ફેન્સને પણ આઘાત લાગ્યો હતો.
સંદીપ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘અંકિતા માત્ર સુશાંતની ગર્લફ્રેન્ડ નહોતી, પરંતુ તે એક માતા તરીકે સુશાંતનું ધ્યાન રાખતી હતી. તેમની મિત્રતા વર્ષ 2011માં થઈ હતી અને મને ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ થઈ ગયા છે. મે આજસુધી અંકિતાની જેમ ધ્યાન રાખતી યુવતી નહોતી જોઈ. તે સુશાંતનું સંપૂર્ણ ધ્યાન રાખતી હતી. જેવું તે ધ્યાન આપતી તેવું કોઈ એક્ટર માટે કરે તેમ નહોતું. તે એકલી જ સુશાંતને બચાવી શકતી હતી. કરિયરની ઊંચાઈએ પહોંચ્યા બાદ તેણે સુશાંત માટે લગભગ એક્ટિંગ છોડી જ દીધી હતી. તે સુશાંતની સફળતા માટે ભગવાન પાસે પ્રાર્થન કરતી હતી.’
સંદીપે આગળ જણાવ્યું કે,‘જ્યારે મે સુશાંતના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે મને સૌપ્રથમ અંકિતાની ચિંતા થઈ. આ સમાચાર જાણતાની સાથે મે અંકિતાને ફોન કર્યા પણ તેણે એક પણ વાર ફોન ઉપાડ્યો નહીં. મને ખબર હતી કે તે સમયે તેની શું સ્થિતિ હશે. પોસ્ટમોર્ટમ બાદ હું અંકિતાના ઘરે ગયો તો તે મને વળગીને રડવા લાગી હતી. મને નથી લાગતું કે તે મને ક્યારેય આ પ્રકારે ગળે વળગીને મળી હશે.
વધુમાં સંદીપ સિંહે કહ્યું હતું, ‘મેં તાજેતરમાં અંકિતા સાથે ફરી વાત કરી હતી ત્યારે તે સતત રડી રહી હતી. મારાથી હવે આ સહન નથી થતું. હું તેને આ પ્રકારની સ્થિતિમાં નથી જોઈ શકતો. મને ખબર છે કે અંકિતા ઘણી સ્ટ્રોન્ગ છે.’