છેલ્લાં 21 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં રીશિ કપૂર, બીમારી સામે બરોબરની ઝીલી હતી ટક્કર!
મુંબઈઃ બોલિવૂડના ઈતિહાસમાં વર્ષ 2020નું બહુ જ ભયાનક સાબિત થઈ રહ્યું છે. છેલ્લાં દોઢ મહિનાથી થિયેટર બંધ છે અને તેને લઈ કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. હજી ગઈ કાલે (29 એપ્રિલ) ઈરફાન ખાને આ ફાની દુનિયા છોડી દીધી હતી. હજી આ આઘાતમાંથી કળ વળે તે પહેલાં તો કપૂર ખાનદાનના લાડલા એવા રીશિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતાં. બેવડા આઘાતને કારણે બોલિવૂડ જ નહીં ચાહકો પણ ભાંગી પડ્યાં હતાં.
છેલ્લાં ત્રણ અઠવાડિયાથી હોસ્પિટલમાં હતાંઃ ભાગ્યે જ ચાહકોને ખ્યાલ હશે કે રીશિ કપૂર છેલ્લાં ત્રણ-ત્રણ અઠવાડિયાથી એટલે કે 21 દિવસથી એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ હતાં. લૉકડાઉન હોવાને કારણે પત્ની નીતુ જ તેમની દિવસ રાત ચાકરી કરતી હતી. રણબીર કપૂર કોવિડ 19 લૉકડાઉનને કારણે ઘરે જ હતો અને દીકરી રિદ્ધિમા દિલ્હીમાં હતી. નીતુ સિવાય કોઈને રિશી કપૂરને મળવાની પરવાનગી નહોતી.
કેન્સરને લઈ કોમ્પ્લિકેશન હતાંઃ રીશિ કપૂરને લ્યૂકેમિયાનું કેન્સર હતું. તેઓ છેલ્લાં બે વર્ષથી આ કેન્સર સામે લડતાં હતાં. લૉકડાઉન પહેલાં રીશિ કપૂરની તબિયત ખરાબ થઈ હતી. તેમને કેન્સર રિલેટેડ ઈશ્યૂ હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.
ધીમે ધીમે અંગો કામ કરતાં બંધ થયાઃ ત્રણ ત્રણ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં બીમારી સામે લડતા રીશિ કપૂર છેલ્લે હિંમત હારી ગયા હતાં. તેના શરીરના અંગો એક પછી એક કામ કરતાં બંધ થઈ ગયા હતાં. તેમની કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી અને તેમને ડાયાલિસિસ પર મૂકવામાં આવ્યાં હતાં. તેમને લોહી પણ ચઢાવવામાં આવ્યું હતું. જોકે, 29 એપ્રિલના રોજ તેમની તબિયત વણસી જતાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતાં.
અડધી રાત્રે દીકરાને બોલાવ્યોઃ રીશિ કપૂરને ખ્યાલ આવી ગયો હતો કે તે હવે લાંબુ જીવવા ના નથી. તેમણે અડધી રાત્રે રણબીર કપૂરને બોલાવ્યો હતો. નીતુ સિંહે દીકરાને ફોન કરીને બોલાવ્યો હતો. રણબીરની સાથે આલિયા ભટ્ટ પણ આવી હતી. રીશિ કપૂરે દીકરાને આઈસીયુ રૂમમાં બોલાવ્યો હતો. તેનો હાથ પકડીને પોતાના પલંગ પર બેસવાનું કહ્યું હતું. આ જ સમયે રણધીર કપૂરે નાના ભાઈ રીશિને દાખલ કર્યાં હોવાની વાત મીડિયાને કહી હતી. રણબીર કપૂર થોડીવાર બેસીને બહાર આવી ગયો હતો. રાતના ત્રણ વાગે રીશિના બૉડીએ વેન્ટિલેટર પર કામ કરવાનું બંધ કરી દીધું હતું.
30 એપ્રિલ સવારે 8.45એ લીધા અંતિમ શ્વાસઃ ડોક્ટર્સે નીતા તથા રણબીરને એ વાત જણાવી દીધી હતી કે રીશિના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે અને હવે તેમની પાસે બસ ગણતરીના શ્વાસ જ છે. આ સાંભળતા જ નીતુ ભાંગી પડી હતી. જોકે, રણબીર તથા નીતુ અંતિમ સમય સુધી રીશિની પાસે રહ્યાં હતાં. જ્યારે ડોક્ટર્સે રીશિને મૃત જાહેર કર્યાં ત્યારે નીતુ સિંહ એકદમ તૂટી ગઈ હતી અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી.
રણબીર માતાને આઈસીયુમાંથી બહાર લઈ આવ્યોઃ રીશિ કપૂરના નિધન બાદ રણબીરે આઈસીયુની બહાર આવીને રડતી માતાને સાંત્વના આપી હતી અને તરત જ દિલ્હીમાં રહેતી રિદ્ધિમાને ફોન કર્યો હતો. આ ઉપરાંત રણબીરે કેટલાંક ક્લોઝ ફ્રેન્ડ્સને મેસેજ કર્યાં હતાં. બહેનને ફોન કરીને રણબીરે જ્યારે પિતાના માઠા સમાચાર આપ્યા ત્યારે તે ભાંગી પડ્યો હતો. જોકે, પછી તરત જ રણબીરે માતાને ફોન આપી દીધો હતો. ફોન પર મા-દીકરી બંનેને આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ રણબીર કપૂરે તરત જ પરિસ્થિતિને સ્વીકારીને રીશિ કપૂરની અંતિમ વિધી તથા અન્ય ફોર્માલિટીઝની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.