મુંબઈ રીશિ કપૂરની અણધારી વિદાયથી બોલિવૂડ શોકમગ્ન થઈ ગયું છે. બોલિવૂડને સતત બીજા દિવસે ઘેરો આઘાત લાગ્યો છે. ઈરફાન ખાન બાદ રીશિના નિધનથી બોલિવૂડને ક્યારેય ના પૂરાય તેવી ખોટ પડી છે. રીશિ કપૂર છેલ્લાં સમયે સાવ નખાઈ ગયા હતાં અને તેમની તસવીર જોઈને ચાહકોની આંખો ચોક્કસથી ભીની થઈ જશે તે નક્કી છે.
આઈસીયુમાં હાથ જોડીને આરામ કરતાં હતાં એચ એન હોસ્પિટલના આઈસીયુ રૂમમાં હાથ જોડીને આરામ કરતાં જોવા મળ્યાં હતાં. કહેવાય છે કે આ તસવીર તેમના અંતિમ દિવસોની છે.
આલિયા ભટ્ટ તરત જ આવીઃ રણબીર કપૂર અડધી રાત્રે પિતાને મળવા હોસ્પિટલ આવી ગયો હતો. પિતાના નિધનના સમાચાર રણબીરે ફોન પર આલિયાને આપ્યા હતાં. આલિયાને સમાચાર મળતાં જ તે સીધી હોસ્પિટલ દોડી આવી હતી. આ મુશ્કેલ ઘડીમાં આલિયાએ નીતુ તથા રણબીરને સધિયારો આપ્યો હતો.
દીકરી ના મળી શકી અંતિમવાર પિતાનેઃ રિદ્ધિમા દિલ્હી હોવાને કારણે તે પિતાને અંતિમ વાર મળી શકી નહીં. રિદ્ધિમાને દિલ્હીથી મુંબઈ આવવાની પરમિશન તો મળી પરંતુ ફ્લાઈટ તથા ટ્રેન બંધ હોવાથી તે બાય રોડ આવશે. દિલ્હીથી મુંબઈનો રસ્તો 1400 કિમી છે અને 24 કલાકથી વધુનો સમય થશે. રિદ્ધિમાએ પિતાની અંતિમ યાત્રા તથા અંતિમ દર્શન વીડિયો કોલની મદદથી કર્યાં હતાં.
માત્ર 25 લોકો જ હાજરઃ લૉકડાઉનના નિયમ પ્રમાણે, અંતિમ યાત્રામાં માત્ર 25 લોકો જ હાજર રહ્યાં હતાં. રીશિ કપૂરના મોટાભાઈ રણધીર કપૂર, નાનો ભાઈ રાજીવ કપૂર, ભત્રીજી કરીના, ભત્રીજા જમાઈ સૈફ અલી ખાન, દીકરો રણબીર, આલિયા ભટ્ટ, પત્ની નીતુ સિંહ, બહેન રીમા જૈન, જીજાજી મનોજ જૈન, ભાણેજ આદર-અરમાન જૈન, ભાણેજ વહુ અનિષા જૈન, ભાણી નતાશા, અભિષેક બચ્ચન, મિત્ર રાહુલ રવૈલ, જય રામ, ડો. ટંડન, બીમલ પારેખ તથા અનિલ અંબાણી હાજર રહ્યાં હતાં. સ્મશાનમાં પાંચ પંડિતોએ પૂજા કરાવી હતી.