રાજકોટઃ ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ શનિવારે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ખાસ દિવસે તેમણે પોતાની આંખો ડોનેટ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો જેથી કોઈ વ્યક્તિની મદદ કરી શકે. જાડેજાની પત્ની રિવાબાએ કહ્યું કે,‘ભગવાનની કૃપાથી મારી પાસે તે તમામ અંગો છે જે શરીરમાં હોવા જોઈએ અને આ કારણે હું દ્રષ્ટિ ના ધરાવતા લોકોની પીડાને સમજી શકું નહીં. તેથી તેમની મદદ માટે કંઈ કરવુ મારી માટે સન્માનજનક વાત ગણાશે.’
રિવાબાએ પોતાના જન્મદિવસે આંખો ડોનેટ કરવાનો નિર્ણય લીધા બાદ લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓ પણ અન્ય લોકોની મદદ કરવા અને તેમના જીવનને નવેસરથી શરૂ કરવામાં મદદરૂપ થાય.
રિવાબાએ કહ્યું કે, ‘હું નથી જણાવી શકતી કે આ સમયે હું કેવું અનુભવી રહી છું, મને કંઈક કર્યાનો સંતોષ મળવાની ક્ષણ છે. તેથી હું તમને અપીલ કરીશ કે તમે પણ બીજાઓની મદદ કરી મૃત્યુ બાદ પોતાના જીવનને યાદગાર બનાવો.’
રવિન્દ્ર જાડેજાએ પત્નીના જન્મ દિવસે ટ્વિટર પર લખ્યું કે,‘જન્મદિવસ મુબારક મારી રાણી. મારી ઊર્જાનો સ્ત્રોત બનવા બદલ આભાર, મારી ખુશી અને મારી પ્રેરણા.#happybirthday.’
રિવાબાના પતિ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલ આઈપીએલ રમવા માટે યુએઈમાં છે. રવિન્દ્ર જાડેજા ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
આઈપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન રમાશે. ગત વર્ષ રિવાબા જામનગર ખાતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા. તેઓ કર્ણી સેનાની મહિલા વિંગના પ્રમુખ પણ છે.