જૂનાગઢ: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે દિવસે પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે કોરોના સામેની લડાઈમાં અનેક લોકોએ દાન આપ્યું છે ત્યારે જૂનાગઢના ભૂતપૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરે 51000 રૂપિયાને ચેક કલેક્ટરને આપ્યો હતો. આ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને રત્નાભાઈને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતાં. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ ફોન પર વાત કરતાં જણાવ્યું હતું કે, આપના જુસ્સાને હું બિરદાવું છું. આપના જેવા લોકોના કારણે જ આપણી સંસ્કાર પરંપરા ઉજળી બની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રત્નાભાઈની તબિયતન પણ પુછી હતી. ત્યાર બાદ કહ્યું હતું કે, બાપા આ ઉંમરે તમે આટલું શ્રેષ્ઠ કામ કરો છો, તમને હું વંદન કરું છું, ખૂબ ખૂબ આભાર અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. તમારે હજુ ઘણાં વર્ષ જીવવાનું છે. દેશમાં તમારા જેવા લોકોની બહુ જ જરૂર છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ પ્રકારે ગુજરાતમાં કે દેશમાં ક્યાંય પણ કોઈએ શ્રેષ્ઠ-અનુકરણીય કામ કર્યું હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવાનું ક્યારેય ચૂકતા નહતા. તે જ પરંપરા આજે પણ તેમણે ચાલુ રાખી છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ નરેન્દ્ર મોદીએ આ પૂર્વ ધારાસભ્ય સાથે ફોન કરીને વાત કરી હતી. આવું કામ કરનારને નરેન્દ્ર મોદી ક્યારે પણ પીઠ થાબડવાનું ભૂલતાં નથી.
જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ મનજીભાઈ ઠુમર 99 વર્ષના છે તેઓ 1975થી 1980ના સમયગાળા દરમિયાન ગુજરાતના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ લીધો નથી અને પેન્શન પણ લીધું નથી.
ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરતાં હતા. ભારતમાં જ્યારે અનાજની તંગી પડી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે કરેલી અપીલના પગલે રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ 99 વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો.
રત્નાબાપાએ કોરોના સામેની લડાઈમાં 51 હજાર રૂપિયાનું દાન આપ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને આ બાપાના ગુજરાતીઓ ભરપૂર વખાણ કરી રહ્યાં છે.